
પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં રવિવારે હિન્દુ સમાજ દ્વારા હિન્દુત્વ જાગરણ અને સામાજિક સમરસતાના ઉદ્દેશ્ય સાથે વિરાટ હિન્દુ સંમેલનો યોજાયા હતા. અમરનાથ મહાદેવ મંદિર નજીક, ધરણીધર બંગલોઝ અને રાજપુર વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મહામંડલેશ્વર, વિવિધ મંદિરોના પૂજારીઓ અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનોનો મુખ્ય હેતુ હિન્દુત્વનું જાગરણ, ‘સ્વ’ બોધનો વિકાસ અને કુટુંબમાં સકારાત્મક સંસ્કારોનું દૃઢીકરણ કરવાનો હતો. સમાજના દરેક વર્ગમાં સામાજિક સમરસતા વધે અને નાગરિક કર્તવ્ય રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બને તે માટે સંગઠિત પ્રયાસો અંગે ચર્ચાઓ કરવામાં આવી.
વક્તાઓએ પર્યાવરણ સંરક્ષણને પરમેશ્વર સાથે એકાકાર થવાનું માધ્યમ ગણાવી કુદરતના જતન પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, દેશભરમાં મક્કમ પરિવર્તન સર્જાઈ રહ્યું છે અને દરેક નાગરિકે આ પરિવર્તનનો સક્રિય સર્જક બનવું જરૂરી છે. સમગ્ર કાર્યક્રમમાં સનાતન ધર્મના અનુયાયીઓને ઉત્સાહભેર જોડાવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ