
મહેસાણા, Gujarat, 22 ફેબ્રુઆરી (હિ.સ.)
મહેસાણા જિલ્લામાં ભાગેડુ પ્રેમલગ્નોના વધતા બનાવોને લઈ પાટીદાર સેના અને સર્વ સમાજ દ્વારા વિરોધ નોંધાવવા મહેસાણાથી ઊંઝા સ્થિત ઉમિયા માતાજી મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પદયાત્રીઓ ઉમિયા માતાજીના દર્શન કરી હૂંડી અર્પણ કરીને સમાજમાં સુખ-શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરશે.
પદયાત્રાના આગેવાનો સતીશભાઈ અને સુરેશભાઈ ઠાકરે જણાવ્યું હતું કે ભાગેડુ પ્રેમલગ્નોના કારણે પરિવારો અને સમાજમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પ્રેમલગ્ન સંબંધિત કાયદાને વધુ કડક બનાવવાની જરૂર છે. તેમણે માંગ કરી કે લગ્નની નોંધણી માતા-પિતાના આધારકાર્ડ મુજબના ગામમાં જ ફરજિયાત કરવી જોઈએ. ઉપરાંત, લગ્ન નોંધણી સમયે લોહીના સંબંધ ધરાવતા સાક્ષીઓની હાજરી અને સંમતિ પણ ફરજિયાત બનાવવી જોઈએ.
આ પદયાત્રા દ્વારા સમાજમાં જાગૃતિ લાવી સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગેવાનોે આશા વ્યક્ત કરી હતી કે સરકાર સમાજના હિતમાં યોગ્ય નિર્ણય લઈ જરૂરી પગલાં ભરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR