
અમરેલી,22 ફેબ્રુઆરી (હિ.સ.)
અમરેલી જિલ્લાના કાગધામ મજાદર ખાતે લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું કથાકાર મોરારી બાપુના હસ્તે ભવ્ય રીતે પુનઃવિમોચન કરવામાં આવ્યું. કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા ‘કાગના ફળિયે કાગની વાતુ’ કાર્યક્રમના 25મા મણકા પ્રસંગે રાજ્યના માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી નવી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું, જે કાગ સાહિત્યના સંવર્ધન માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
આ નવી આવૃત્તિમાં આધુનિક ટેકનોલોજીનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. પુસ્તકમાં આપેલા QR કોડને સ્કેન કરીને વાચકો કવિ કાગના કંઠે ગવાયેલી વિવિધ લોકગીતો અને કૃતિઓ સાંભળી શકશે, જેના કારણે નવી પેઢી સુધી કાગ સાહિત્યને જીવંત રીતે પહોંચાડવાનો પ્રયાસ થયો છે. આ પ્રસંગે ચારણ પરંપરા અને સંસ્કૃતિનું જીવંત દર્શન કરાવતા વિશેષ અંક ‘ચારણ સંસ્કૃતિ’નું પણ વિમોચન કરવામાં આવ્યું.
પુસ્તકના પુનઃવિમોચન પ્રસંગે મોરારી બાપુએ અંતઃકરણથી પ્રસન્નતા વ્યક્ત કરી અને કવિ કાગના સાહિત્યની અમરતા વિશે વિચાર વ્યક્ત કર્યા. પૂર્વ માહિતી નિયામક વી.એસ. ગઢવીએ માહિતી કમિશનર કે.એલ. બચાણી તેમજ માહિતી ખાતાનો આભાર વ્યક્ત કરી આ પહેલને સાહિત્ય અને સંસ્કૃતિ માટે ઐતિહાસિક ગણાવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai