


- પ્રાકૃતિક ખેતીથી કેળાના મબલખ ઉત્પાદન અને મૂલ્યવર્ધનનું માર્ગદર્શન મેળવ્યું
- મુલાકાત દરમિયાન નર્મદાના ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે વિસ્તૃતમાં જાણકારી પૂરી પાડવામાં આવી
રાજપીપલા,23 ફેબ્રુઆરી (હિ.સ) નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીએ હરણફાળ ભરી છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને રાસાયણિક ઝેરમુક્ત ખેતપેદાશોનું ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ સદ્ધર બને તેવા શુભ આશયથી, તાજેતરમાં નર્મદા જિલ્લાના ખેડૂતો માટે એક આંતર-જિલ્લા પ્રેરણા પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં કેળની ખેતી કરતા અંદાજે 50 થી વધુ ખેડૂતોને સુરત જિલ્લાના ઓલપાડ
તાલુકામાં આવેલ સરસ ગામે પ્રવાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસ અંતર્ગત ખેડૂતોએ સરસ ગામના કલ્પેશભાઈના ખેતરે આવેલ સિદ્ધનાથ પ્રાકૃતિક ફાર્મની વિશેષ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન નર્મદાના ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે જીવંત અને વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
ખેડૂતોએ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું કે કોઈપણ જાતના રાસાયણિક ખાતર કે ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગ વિના, સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિથી કેળના પાકનું શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય છે. ખેડૂતો માટે આ એક નવો અને સકારાત્મક અનુભવ રહ્યો હતો.
આ ઉપરાંત, મુલાકાતી ખેડૂતોને ફાર્મમાં વાવેલી 15 થી 18 જેટલી કેળાની વિવિધ જાતો
(વેરાઈટીઓ) નિહાળવાની તક મળી હતી.
ખેડૂતોને કેવળ પાક ઉત્પાદન જ નહીં, પરંતુ ખેતપેદાશના યોગ્ય મૂલ્યવર્ધન (Value Addition) વિશે પણ પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ કેળામાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત વસ્તુઓ અને તેના દ્વારા બજારમાં વધુ આર્થિક ફાયદો કઈ રીતે મેળવી શકાય તે અંગેની સચોટ માહિતી પ્રાપ્ત કરી હતી. તેમજ ખેડૂતો સાથે વાર્તાલાપ કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.
આ પ્રેરણાદાયક પ્રસંગે સિદ્ધનાથ મોડલ ફાર્મના પ્રગતિશીલ ખેડૂત કમલેશ પટેલ,GPKVBના નાંદોદ તાલુકા પ્રોજેક્ટ મેનેજર ઈશા પટેલ અને આત્મા (ATMA) યોજનાના ATM નાંદોદ
હેમંત વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ