



પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર–1 વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત એસ.આઈ.ની ટીમ દ્વારા વિસ્તારમાં આવેલ દુકાનદારો, વેપારીઓ તથા નાના-મોટા વ્યવસાયકારોને કચરાના યોગ્ય નિકાલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહાનગર પાલિકાની ટીમ દ્વારા ખાસ કરીને પ્લાસ્ટિક કચરો અને અન્ય ઘન કચરાના વૈજ્ઞાનિક તથા નિયમિત નિકાલ અંગે સમજ આપવામાં આવી હતી. તમામ દુકાનદારોને પોતાની દુકાનમાં ડસ્ટબિન રાખી કચરો તેમાં જ એકત્રિત કરવાનો અને ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ માટે આવતા મહાનગરપાલિકાના વાહનોમાં જ કચરો આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ વેપારીઓને જાહેર સ્થળોએ અથવા રસ્તા પર કચરો ન ફેંકવા સૂચના આપી હતી તથા શહેરમાં સ્વચ્છતા જાળવવા સહકાર આપવા અપીલ કરી હતી. પોરબંદર શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવા મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે અને નાગરિકોના સહયોગથી સ્વચ્છતાના અભિયાનને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામગીરી ચાલુ રાખશે, તેવું જણાવ્યું હતું.
-
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya