
ગાંધીનગર,24 ફેબ્રુઆરી (હિ.સ.) દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય AI સમિટમાં AI સમિટ યોજાઈ હતી. જેમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં મહિલા મોરચાએ AI સમિટમાં યુથ કોંગ્રેસના વિરોધ સામે રાહુલ ગાંધીના પૂતળા દહન અને દેશદ્રોહી પોસ્ટર સાથે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસના કૃત્યને ભાજપે વખોડી કાઢતા રાજકીય માહોલ ગરમાયો છે. તાજેતરમાં દિલ્હી ખાતે AI સમિટ યોજાઈ હતી. જેમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટીશર્ટ કાઢી અને બેનર સાથે સૂત્રોચ્ચાર દેખાવો કર્યા હતા.
હવે ભાજપ પક્ષ કોંગ્રેસની આ નીતિ રીતિને વખોડી રહ્યું છે અને દેશભરમાંથી કોંગ્રેસના આ કૃત્ય સામે ભાજપે વિરોધ કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ગાંધીનગરમાં પણ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ભાજપના મહિલા મોરચાના સદસ્યો, મહાનગરપાલિકાના કોર્પોરેટર સહિતના મહિલા હોદ્દેદારોએ સત્યાગ્રહ સાથે રાહુલ ગાંધીના પૂતળા સાથે દેખાવો કર્યા હતા. એટલું જ નહીં ભાજપની મહિલા મોરચા દ્વારા સૂત્રોચ્ચાર અને રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે તેમજ રાહુલ ગાંધી દેશદ્રોહી તરીકેના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સત્યાગ્રહ છાવણી પાસેના ચાર રસ્તા ખાતે રાહુલ ગાંધીના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું.
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી અંગે વિરોધ કરવા આવેલી મહિલાઓએ જણાવ્યું છે કે, દિલ્હી ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય AI સમિટમાં વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. વિશ્વના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ ભારતના આ પ્રયત્નને આવકારતા હતા. ત્યારે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના મળતિયાઓ દ્વારા ભારત દેશને હાસ્યાસ્પદ કહીને દેશ વિરોધી માનસિકતા છતી કરવા આવા પ્રકારનો વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસે અનેકવાર વૈશ્વિક ફલક ઉપર ભારત દેશની નિંદા કરી છે. હવે ભારતને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો છે.
જે અંતર્ગત આજે ગાંધીનગરની ભાજપના મહિલા મોરચા દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રાહુલ ગાંધીનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. તેમજ દેશ વિરોધી માનસિકતા આપનાર કોંગ્રેસને સખત શબ્દોમાં વખોડી હતી. નોંધનીય છે કે, આ મામલે પહેલા રાજકોટ સહિતના ગુજરાતના મહાનગરોમાં પણ ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી ચૂક્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હાલ આ મામલે ભારે રાજકીય માહોલ જામ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ