
જામનગર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) : ભારત સરકારના ‘ટીબી મુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા માટે જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત લાલપુર તાલુકાની રઝવી હાઈસ્કૂલ ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર, જામનગર અને લાલપુર આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ટીબી રોગ અંગે જાગૃતિ અને પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના નિષ્ણાતો દ્વારા ૭૦ થી વધુ વિદ્યાર્થીઓને ટીબી રોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, ટીબી એ બેક્ટેરિયાથી થતો ગંભીર રોગ છે, જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે.
જો કોઈ વ્યક્તિને ૨ અઠવાડિયાથી વધુ ઉધરસ, ભૂખ ન લાગવી, વજન ઘટવો કે સાંજના સમયે ઝીણો તાવ આવવો જેવા લક્ષણો જણાય, તો તુરંત તપાસ કરાવવી અનિવાર્ય છે. સારવાર ન લેનાર એક દર્દી વર્ષે ૧૦ થી ૧૫ વ્યક્તિઓને ચેપ લગાડી શકે છે, તેથી વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર જ આ રોગનો ઉકેલ છે.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું હતું કે, તમામ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ટીબીનું નિદાન અને સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. વધુમાં, ‘નિક્ષય પોષણ યોજના’ હેઠળ દર્દીને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સરકાર દ્વારા દર મહિને રૂ.૧૦૦૦ની સહાય સીધી દર્દીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે, શાળાના આચાર્ય દિલીપભાઈ ધારવીયા અને અન્ય ૫ શિક્ષકો અલ્તાફ ખુરેશી, વિજય મઘોડીયા, નકીમખાન પઠાણ, મોહીન ભોરણીયા અને આરીફ હિંગોરા ટીબીના દર્દીઓને સાયકોસોશિયલ સપોર્ટ પૂરો પાડવા માટે ‘નિક્ષય મિત્ર’ તરીકે જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પંકજકુમાર સિંઘ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ DPPM ચિરાગ પરમાર, ટીબી સુપરવાઈઝર પરેશ ભારાઈ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt