
બોટાદ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) બોટાદ જિલ્લામાં ચાલતા “સુપોષિત બોટાદ અભિયાન” અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પોષણ અને માતા-શિશુ આરોગ્ય અંગે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે સી.ડી.એચ.ઓ.શ્રી દ્વારા કાનીયાડ ગામની આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન બાળકોના પોષણ સ્તર, આરોગ્ય તપાસ અને સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી.“સુપોષિત બોટાદ અભિયાન”નો મુખ્ય હેતુ કુપોષણને દૂર કરીને બાળકો અને ગર્ભવતી તેમજ ધાત્રી માતાઓને યોગ્ય પોષણ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ અભિયાન દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં નિયમિત વજન માપણી, હિમોગ્લોબિન ચકાસણી, પોષણયુક્ત આહાર વિતરણ તથા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.
સી.ડી.એચ.ઓ.શ્રીએ આંગણવાડી કેન્દ્રમાં હાજર બાળકો સાથે સંવાદ કર્યો અને તેમને આપવામાં આવતા પોષણ આહારની ગુણવત્તા તપાસી. તેમજ ગર્ભવતી મહિલાઓ અને માતાઓને સંતુલિત આહાર, સ્વચ્છતા અને રસીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કેન્દ્રની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતાં તેમણે કર્મચારીઓને વધુ સક્રિય બનીને કુપોષણમુક્ત ગામ બનાવવા માટે પ્રેરિત કર્યા.
મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તેઓએ સરકારની પોષણ સંબંધિત યોજનાઓનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચે તે માટે સમન્વયથી કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આ અભિયાનથી ગ્રામિણ વિસ્તારમાં પોષણ અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ સફળતા મળી રહી છે. “સુપોષિત બોટાદ અભિયાન” અંતર્ગત આવી મુલાકાતો અને માર્ગદર્શનથી કુપોષણ ઘટાડવા માટે સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે અને આરોગ્યપ્રદ સમાજ રચવાના પ્રયાસોને મજબૂતી મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT