

- આયુષ મેળામાં વિવિધ સ્ટોલના માધ્યમથી નાગરિકોને વિવિધ રોગોનું તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોએ લાભ લીધો
- યોગા ટીમ દ્વારા યોગાભ્યાસ અને યોગ નિદર્શન થકી યોગ ચિકિત્સા પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી અપાઇ
રાજપીપલા,25 ફેબ્રુઆરી (હિ.સ.) જિલ્લા આયુર્વેદ હોસ્પિટલ અને નર્મદા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે વેરાઈ માતા મંદિર પ્રાંગણમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગામના અગ્રણી અને પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અગ્રણી હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિની વર્ષો જૂની પરંપરા આયુર્વેદ અને યોગ પદ્ધતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વને નિરોગી જીવનનો સંદેશ આપ્યો છે. આપણાં વડીલો- પૂર્વજો પણ તમામ રોગોનું નિદાન આયુર્વેદ ચિકિત્સા થકી જ કરતા હતા.
રાજપીપલા સ્થિત ફાર્માસી દ્વારા વિવિધ ઔષધિય છોડ-ઝાડ ઉગાડી તેનું જતન કરી વિવિધ ઐષધી બનાવવામાં આવે છે. આ ઔષધિઓ ખૂબજ અસરકારક અને રોગોને જડમૂળથી મટાડી શકે તેવી હોય છે, તેની શરીરમાં કોઈ આડ અસર પણ રહેતી નથી. તેથી આયુર્વેદ ચિકિત્સાને અપનાવીએ તેવી અપીલ કરી હતી.
આ આયુષ મેળો ગામના તથા આસપાસના ગામોના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આયુષ મેળામાં વિવિધ સ્ટોલના માધ્યમથી હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ, થાયરોઇડ, સંધિવાત, આમવાત, ત્વચા રોગો, પાચન તંત્રના રોગો, શ્વસન તંત્રના રોગો તેમજ આંખ, કાન, નાક અને ગળાના રોગો અંગે તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પંચકર્મ સારવાર જેમ કે અભ્યંગ, સ્વેદન, વમન, વિરેચન, બસ્તિ, રક્તમોક્ષણ, નસ્ય તથા અગ્નિકર્મ વિષયક માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ સ્થળે યોગા ટીમ દ્વારા યોગાભ્યાસ અને યોગ નિદર્શન થકી યોગ ચિકિત્સા પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે ઔષધિય છોડનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સુંદરપુરા ગામના સરપંચ શાંતિલાલ વસાવા, જીતગઢના સરપંચ મુકેશ વલવી, અગ્રણી હરેશ વસાવા, ઈન્ચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. નેહા પરમાર, આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય પંચકર્મ ડૉ. યોગેશ વસાવા, સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ