
અમરેલી, 18 માર્ચ (હિ.સ.) : ખેડૂત હિતના મુદ્દાઓને લઈ અવાજ ઉઠાવતાં ખેડૂત નેતા રાજુભાઈ કરપડા આવતીકાલે 19 માર્ચે સાવરકુંડલા ખાતે આવશે. તેઓ તુલસીશ્યામ ખાતેથી ‘ખેડૂત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરશે, જે 19 માર્ચથી 24 માર્ચ સુધી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફરશે. “તમામ ખેડૂત મારો પરિવાર છે, અને પરિવાર માટે લડવું એ મારું કર્મ છે” એવા સૂત્ર સાથે આ યાત્રા યોજાઈ રહી છે.
રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે હાલ ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમાં સિંચાઈ માટે પૂરતું પાણી, પાકને યોગ્ય પોષણશીલ ભાવ અને દેવાના ભારમાંથી મુક્તિ જેવા મુખ્ય મુદ્દાઓ સામેલ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજકીય પાર્ટીઓ ખેડૂતોને માત્ર વોટ બેન્ક તરીકે જ ઉપયોગ કરે છે અને તેમના મૂળ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવતા નથી.
આ સંકલ્પ યાત્રા દ્વારા ખેડૂતોને એકત્રિત કરી મજબૂત સંગઠન ઉભું કરવાનો પણ ઉદ્દેશ્ય છે, જેથી ખેડૂતોના હકો માટે અસરકારક રીતે લડી શકાય. સાવરકુંડલા સહિત સમગ્ર વિસ્તારમાં આ યાત્રાને લઈ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai