
બોટાદ, 18 માર્ચ (હિ.સ.) : ગુજરાત સરકારે વર્ષ 2014-15 થી નાના ખેડૂતને યોગ્ય આવક મળી રહે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના અન્વયે “રક્ષિત ખેતી” યોજના અમલીકરણમાં મૂકી હતી. રક્ષિત ખેતી (Protected Cultivation) એટલે અનુકૂળ વાતાવરણમાં પાક ઉછેરવાની પદ્ધતિ, જે જીવાત, રોગ અને અતિશય હવામાનથી પાકને બચાવે છે. જેનાથી ઓછા પાણી અને જમીનમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવામાં આવે છે. રક્ષિત ખેતીમાં શેડ-નેટ હાઉસ બનાવવામાં આવે છે. જેમાં વિવિધ હવામાન પરિસ્થિતિ મુજબ તંદુરસ્ત કલમો, છોડ, ધરૂ ઉછેરવામાં અને છોડનું હાર્ડનિંગ કરવામાં આવે છે. તેમાં ગુલાબ, જર્બેરા, કેપ્સિકમ, મરચી, ભીંડા, બ્રોકોલી, તુરીયાં, દૂધી અને કાકડી સહિતના પાકોની ખેતી કરવામાં આવે છે. આ નેટહાઉસમાં પાકમાં ૫૦ ટકા સુર્યપ્રકાશ પૂરો પાડવામાં આવે છે. જેના લીધે પાકનો યોગ્ય પ્રમાણમાં વિકાસ થાય છે. આ સાથે જ નેટહાઉસમાં ભેજ વાળું વાતાવરણ હોવાથી પાકને પાણી મળી રહે છે. જેમાં ખેડુતોને રક્ષિત ખેતી કરવા સરકાર દ્વારા સબસીડી પૂરી પાડવામાં આવી રહી છે.
આવા જ એક લાભાર્થી ખેડૂત બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામના રહેવાસી ૪૫ વર્ષી અશોકભાઈ દેલવાડીયાએ સરકારની રક્ષિત ખેતીની યોજનાનો લાભ લીધો છે. ખેડૂત પરિવારમાંથી આવતા અશોકભાઈ પાસે ૯૦ વીઘા જમીન છે. જેમાં તેઓ ઋતુ પ્રમાણે પાક લે છે. તેઓએ ખેડૂતમિત્રો પાસેથી રક્ષિત ખેતી વિશે માહિતી મેળવી બોટાદ જિલ્લા બાગાયત કચેરી ખાતે સંપર્ક સાધ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ લાભાર્થીશ્રી અશોકભાઈએ વર્ષ ૨૦૨૪-૨૫માં સરકારની રક્ષિત ખેતી પર મળતી સબસીડીનો લાભ લીધો હતો.રક્ષિત ખેતી કરતા અશોકભાઈએ જણાવ્યું હતું કે, એક એકર જમીન દીઠ નેટહાઉસ તૈયાર કરવા રૂ.૨૪ લાખનો ખર્ચ થાય છે. પરંતુ, સરકાર દ્વારા તેઓને રૂ.૧૬.૫૦ લાખ સુધીની સબસીડી મળતાં તેઓને આર્થિકરીતે ઘણો લાભ થયો છે. તેઓએ નેટ હાઉસમાં કાકડીનું વાવેતર કર્યું છે, જે એક એકરમાં સરેરાશ રૂ.૮૫૦૦/-ના બિયારણ અને લેબર તથા અન્ય ખર્ચાઓ સહિત રૂ.૨.૫ લાખનું રોકાણ સામે ૪૦થી ૬૦ ટન જેટલું ઉત્પાદન કરે છે. તેઓ વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે વધુમાં વધુ ત્રણ પાકોનું વાવેતર કરે છે. જેના પર બજાર ભાવ પ્રમાણે ચોખ્ખો નફો પણ પ્રાપ્ત થાય છે.
વધુમાં લાભાર્થીએ જણાવ્યું હતું કે, એક એકર જમીન પર રૂ.૨૪ લાખના ખર્ચે તૈયાર થતાં નેટહાઉસ પર રૂ.૧૫થી ૧૬.૫૦ લાખની સહાય સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. સાથોસાથ તેઓના ૩૪ વર્ષીય પિતરાઈ કમલેશભાઈ દેલવાડિયાએ પણ આ વર્ષે રક્ષિત ખેતી અન્વયે સબસીડીનો લાભ લીધો છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, દરેક ખેડૂત આ રક્ષિત ખેતી અંતર્ગત નેટ હાઉસ બનાવવા આર્થિકરીતે અસમર્થ હોય છે. સરકારની આ યોજના અનેક ખેડૂતોને લાભદાયી સાબિત થઇ છે. ખેડૂતોના પાકને યોગ્ય તાપમાન, ભેજ, ઉત્પાદન અને નફો મળે તે હેતુસર રક્ષિત ખેતી પર મળતી સહાયતા અર્થે તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT