
અમરેલી, 18 માર્ચ (હિ.સ.) : જાફરાબાદ તાલુકાના દરીયાઈ ટાપુ શિયાળબેટમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજ પુરવઠાની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શિયાળબેટ માટે સમુદ્ર માર્ગે નવો અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે કુલ 30.14 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે તૌકતે વાવાઝોડા દરમિયાન પહેલાનો કેબલ નુકસાન પામતા શિયાળબેટમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો હતો. જેના કારણે સ્થાનિક લોકોને દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય હીરા સોલંકીએ ઉર્જામંત્રી કૌશિક વેકરીયા સમક્ષ રજૂઆત કરી હતી, જે અંતે સ્વીકારાઈ છે. નવી કેબલ લાઈનના પ્રોજેક્ટથી શિયાળબેટમાં સ્થિર અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે, જેના કારણે વિકાસ કાર્યોને પણ ગતિ મળશે.
આ નિર્ણયથી ખુશ થયેલા શિયાળબેટના રહેવાસીઓએ સરકાર અને સંબંધિત આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો છે. સ્થાનિક અગ્રણી ખોડાભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે આ યોજના શિયાળબેટના વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai