
નવસારી, 12 એપ્રિલ (હિ.સ.) : નવસારી મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પ્રચારને તેજ આપ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈની હાજરીમાં પક્ષના તમામ 52 ઉમેદવારોએ એકત્ર થઈ ‘જન સેવા સંકલ્પ’ લીધો હતો. કાર્યક્રમમાં ઉમેદવારો અને કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
નવસારીના મ્યુઝિકલ ફાઉન્ટેન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 13 વોર્ડના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. કનુ દેસાઈએ ઉમેદવારોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની અને શહેરના વિકાસ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિજ્ઞા અપાવી હતી. તેમણે પક્ષની છબી જળવાઈ રહે તે માટે શિસ્તબદ્ધ વર્તન રાખવા પર પણ ભાર મૂક્યો હતો.
મંત્રીએ જણાવ્યું કે ભાજપની જીત માટે અનુકૂળ માહોલ સર્જાયો છે અને કેટલીક બેઠકો પર તો ઉમેદવારો બિનહરીફ જીત તરફ આગળ વધી રહ્યા છે. તેમણે કાર્યકરોને ‘ડોર ટુ ડોર’ સંપર્ક દ્વારા મતદારો સુધી પહોંચવાની સૂચના આપી હતી. કાર્યક્રમના અંતે ઉમેદવારોને સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યકરો દ્વારા જીતના નારા લગાવી ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે