
પાવાગઢ, 12 એપ્રિલ (હિ.સ.)-પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કરવા આવેલા વાપીના એક પરિવાર માટે દુઃખદ ઘટના બની છે. ડુંગર પર દર્શન કર્યા બાદ એક મહિલાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના વાપીમાં રહેતી શકુંતલાદેવી પોતાના પરિવાર સાથે રવિવારે પાવાગઢ દર્શનાર્થે પહોંચી હતી. વહેલી સવારે તેઓ ડુંગર ચઢીને માતાજીના દર્શન કર્યા હતા.
દર્શનમાં પછી નીચે ઉતરતી વખતે અચાનક તેમને છાતીમાં ભારે દુખાવો શરૂ થયો હતો અને થોડી જ વારમાં તેમની તબિયત બગડતાં તેઓ બેભાન થઈ ગયા હતા.
સ્થળ પર હાજર સુરક્ષા કર્મીઓ અને તબીબી ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી અને બાદમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું. ડૉક્ટર દ્વારા પ્રાથમિક તપાસમાં મેસિવ હાર્ટ એટેકને મોતનું કારણ માનવામાં આવ્યું છે.
આ ઘટનાને કારણે પરિવાર તેમજ આસપાસના લોકોમાં શોકનો માહોલ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે