
- શહેરીજનો માટે કોર્પોરેશનનો 'હીટ એક્શન પ્લાન' તૈયાર
અમદાવાદ,14 એપ્રિલ (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા 14થી 20 એપ્રિલ સુધી અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ તાપમાનમાં સતત વધારો થશે. આગામી ત્રણ દિવસમાં શહેરના લાંભા, ચાંદખેડા, નરોડા અને રામોલ નજીક આવેલા વાંચ ગામમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તે વિસ્તારના મહત્તમ તાપમાનના આધારે 'હોટસ્પોટ' નક્કી કરવામાં આવ્યા છે, જેની માહિતી નાગરિકો વેબસાઇટ લિંક અને QR કોડ મારફતે મેળવી શકશે. આ ડેટા દર ત્રણ દિવસે અપડેટ કરવામાં આવશે.
હવામાન વિભાગના અનુમાન મુજબ,20 એપ્રિલની સવાર સુધી શહેરમાં મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23થી 25 ડિગ્રી વચ્ચે રહેશે.
વધતી ગરમીને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અમલી બનાવાયો છે. હોટસ્પોટ વિસ્તારોની શાળાઓ, આંગણવાડીઓ, કન્સ્ટ્રક્શન સાઇટ્સ, ઉદ્યોગો અને કડિયાનાકા પર ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
સેવાભાવી સંસ્થાઓના સહયોગથી શહેરમાં 1300થી વધુ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાંથી 200 જેટલી પરબ વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં છે.
તમામ હેલ્થ સેન્ટરો અને હોસ્પિટલોમાં પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં હીટ-સ્ટ્રોકના દર્દીઓ માટે અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોને ગરમીથી બચાવવા મોટાભાગની મ્યુનિસિપલ શાળાઓ સવારની પાળીમાં કરી દેવામાં આવી છે. દર દોઢ કલાકે 'વોટર બેલ' દ્વારા બાળકોને પાણી પીવા પ્રોત્સાહિત કરાશે.
શહેરમાં 2074 જેટલી આંગણવાડીઓ, દરેક કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ORS અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. 66 જેટલા કડિયાનાકા તથા 65 જેટલા શ્રમિકનાકા પર ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. 19000થી વધારે ફિલ્ડ ડ્યુટી કરતા આરોગ્ય વિભાગ, ઈજનેર વિભાગ તથા સફાઈ કર્મચારીઓને ગરમીથી બચાવવા માટે સફેદ કેપ આપવામાં આવી છે.
નિરાંત ચાર રસ્તા, સી.ટી.એમ. ચાર રસ્તા, વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા, પુષ્પકુંજ ચાર રસ્તા, જવાહર ચોક ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા પર ગ્રીન નેટ લગાવાઈ.નિરાંત ચાર રસ્તા, સી.ટી.એમ. ચાર રસ્તા, વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા, પુષ્પકુંજ ચાર રસ્તા, જવાહર ચોક ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા પર ગ્રીન નેટ લગાવાઈ.
શહેરના 300થી વધારે બગીચાઓ સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે છે અને દરેક બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. શહેરમાં 34 જેટલા શેલ્ટર હોમ ખાતે ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
AMTS દ્વારા શહેરના અલગ-અલગ બસ ડેપો તથા ટર્મિનલ પર જનતા માટે 25 એર કુલર અને 10 વોટર કુલર મુકવામાં આવ્યાં છે. BRTS દ્વારા શહેરના અલગ-અલગ 7 બસ ડેપો તથા 199 બસ સ્ટેશનો પર ORS અને વોટરજગની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા નિરાંત ચાર રસ્તા, સી.ટી.એમ. ચાર રસ્તા, વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા, પુષ્પકુંજ ચાર રસ્તા, જવાહર ચોક ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા પર ગ્રીન નેટ લગાવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ