
ગીર સોમનાથ, 01 મે (હિ.સ.) NTA દ્વારા NEET(UG) ૨૦૨૬ ની પરીક્ષા તા.૦૩/૦૫/૨૦૨૬ને રવિવારનાં રોજ યોજાનાર છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ મુકામે કુલ ૫ પરીક્ષા કેન્દ્રો પર ૧,૨૫૬ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપવાના છે.
જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે, આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહે તેમજ પોલીસ બંદોબસ્ત સુનિશ્વિત રહે આવે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
આ ઉપરાંત, પરીક્ષાર્થીઓને મુસાફરીમાં સરળતા રહે તે હેતુથી એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસોનું સંચાલન પણ કરવામાં આવનાર છે.
જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર લાયઝન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેઓ શાંતિપૂર્ણ તેમજ અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચાની અખબારીયાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ