
અમરેલી, 01 મે (હિ.સ.)
સાવરકુંડલા શહેરમાં નવી શાકમાર્કેટના આયોજન અને આધુનિક સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવા અટલધારા કાર્યાલય ખાતે શાકમાર્કેટ એસોસિયેશનના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. શહેરના વધતા વ્યાપાર અને ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો.
બેઠક દરમિયાન ખાસ કરીને વેપારીઓને સુવિધાજનક દુકાનો, સ્વચ્છતા જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા, તેમજ ગ્રાહકો માટે સરળ અને સુગમ ખરીદીનું માહોલ ઉભું થાય તે બાબતો પર ભાર મૂકાયો. ઉપરાંત શાકમાર્કેટ ખાતે વાહન વ્યવહારની સમસ્યા દૂર કરવા માટે વિશાળ અને વ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઊભી કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી.
આ બેઠકમાં મહેશ કસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વેપારીઓના સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય આયોજન સાથે નવી શાકમાર્કેટ વિકસાવવા આશ્વાસન આપ્યું હતું.
આગામી સમયમાં શહેરના વિકાસને વધુ ગતિ મળે અને વેપારીઓ તથા ગ્રાહકો બંનેને લાભ થાય તે દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai