
નવી દિલ્હી, 28 મે (હિ.સ.). ઉત્તર ભારતમાં ભીષણ ગરમી વચ્ચે હવામાન ફરી એકવાર કરવટ બદલવા જઈ રહ્યું છે. ભારત હવામાન વિભાગ અનુસાર, આજથી એક સક્રિય પશ્ચિમી વિક્ષોભની અસર દેખાવાનું શરૂ થશે. તેનાથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને પહાડી રાજ્યોમાં વાવાઝોડું, ગાજવીજ અને વરસાદની ગતિવિધિઓ વધવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. તો બીજી તરફ મેદાની વિસ્તારો, ખાસ કરીને પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સાંજ પછી હવામાન બદલાઈ શકે છે. અનેક સ્થળોએ ધૂળભરી આંધી અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ ગરમીને કારણે ઉત્તર ભારતના અનેક ભાગોમાં તાપમાન 44 થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જો કે, હવામાનમાં ફેરફાર બાદ તાપમાનમાં 3 થી 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. તેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા છે.
ભારતીય હવામાન વિભાગે, લોકોને ખરાબ હવામાન દરમિયાન ખુલ્લી જગ્યાઓ, વૃક્ષો અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. ખેડૂતો અને મુસાફરોને પણ હવામાન અપડેટ પર નજર રાખવાની અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર/પવન કુમાર
---------------
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ