તમિલનાડુના તિરુચિરાપલ્લી અને વિરુધુનગર સહિત 3 સ્થળો પર એનઆઈએના દરોડા
ચેન્નાઈ, નવી દિલ્હી, 30 મે (હિ.સ.). રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ, શનિવારે વહેલી સવારે તમિલનાડુમાં તિરુચિરાપલ્લી અને વિરુધુનગર સહિત 3 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. વહેલી સવારે શરૂ થયેલી આ કાર્યવાહીથી સંબંધિત વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો હતો અન
એનઆઈએ ની કાર્યવાહી


ચેન્નાઈ, નવી દિલ્હી, 30 મે (હિ.સ.). રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ, શનિવારે વહેલી સવારે તમિલનાડુમાં તિરુચિરાપલ્લી અને વિરુધુનગર સહિત 3 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. વહેલી સવારે શરૂ થયેલી આ કાર્યવાહીથી સંબંધિત વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો હતો અને લોકોમાં તપાસના કારણો અંગે ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો હતો. જો કે, એનઆઈએ દ્વારા હજુ સુધી આ કાર્યવાહી સંબંધિત કેસની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કેરળના કોચ્ચિ સ્થિત એનઆઈએ કાર્યાલયથી 20 થી વધુ અધિકારીઓની એક વિશેષ ટીમ તમિલનાડુ પહોંચી હતી. ટીમે સ્થાનિક પોલીસના સહયોગથી ચિહ્નિત સ્થળો પર એક સાથે તલાશી અભિયાન શરૂ કર્યું હતું. કાર્યવાહી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે પૂરતી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, આ દરોડા કેરળમાં નોંધાયેલા એક કેસના સંબંધમાં પાડવામાં આવ્યા છે. જો કે, કેસ કયા પ્રકારનો છે અને તપાસનો વ્યાપ કેટલો છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એનઆઈએના અધિકારીઓએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

એનઆઈએ સૂત્રોના જણાવ્યા અનુસાર, તલાશી દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, મોબાઈલ ફોન, હાર્ડ ડિસ્ક, કોમ્પ્યુટર અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કરવામાં આવી રહી છે. એજન્સી આ સામગ્રીના આધારે કેસના વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. જપ્ત કરાયેલા પુરાવાઓનું વિશ્લેષણ પૂર્ણ થયા બાદ જ આ કાર્યવાહીના હેતુ અને તપાસની દિશા અંગે વિગતવાર માહિતી સામે આવી શકશે.

એનઆઈએની આ કાર્યવાહી બાદ વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક સૂત્રોનું માનવું છે કે, આ અભિયાન કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા નેટવર્ક, શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અથવા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓની તપાસનો ભાગ હોઈ શકે છે. જ્યારે, કેટલાક અન્ય સૂત્રો તેને માઓવાદી પ્રવૃત્તિઓ અને તેની સાથે જોડાયેલા સંપર્કોની તપાસ સાથે જોડીને જોઈ રહ્યા છે. જો કે, આ દાવાઓની સત્તાવાર સ્ત્રોત દ્વારા હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.

આ દરમિયાન કેટલાક સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે, એનઆઈએની આ કાર્યવાહી સબરીમાલા શ્રી અયપ્પા મંદિરમાં સોનાની ગેરરીતિના કેસ સાથે જોડાયેલી હોઈ શકે છે. વાસ્તવમાં, મંદિરના સન્નિધિ ક્ષેત્રમાં લગાવેલા સોનાના પતરાંને પોલિશ અને સમારકામ માટે ચેન્નાઈની એક ખાનગી કંપનીને સોંપવામાં આવ્યા હતા. કામ પૂર્ણ થયા બાદ મંદિર પ્રશાસનને પરત કરાયેલા સોનાના પતરાંમાં કથિત રીતે અંદાજે 4.5 કિલોગ્રામ સોનું ઓછું મળ્યું હતું. આ મામલાને લઈને અગાઉ પણ વિગતવાર તપાસની માંગ ઉઠી ચૂકી છે. જો કે, વર્તમાન દરોડાને આ પ્રકરણ સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની પુષ્ટિ હજી સુધી થઈ નથી.

જો કે, આશરે 3 કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ કાર્યવાહી દરમિયાન એનઆઈએ અને સ્થાનિક પોલીસના અધિકારીઓ સમગ્ર વિસ્તારમાં સક્રિય રહ્યા હતા. સુરક્ષાના કારણોસર મીડિયા અને સામાન્ય લોકોની અવરજવર પણ મર્યાદિત કરી દેવામાં આવી હતી. દરોડાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળની આસપાસ એકઠા થઈ ગયા હતા, પરંતુ પોલીસે સુરક્ષા વ્યવસ્થાનો હવાલો આપીને તેમને ત્યાંથી હટાવી દીધા હતા.

હાલમાં, એનઆઈએની આ કાર્યવાહીને લઈને રહસ્ય અકબંધ છે. એજન્સીનું કહેવું છે કે, તલાશી અભિયાન પૂર્ણ થયા બાદ અને જપ્ત કરાયેલા પુરાવાઓની તપાસ પછી જ કેસ સંબંધિત વિગતવાર માહિતી શેર કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં, રાજકીય, વહીવટી અને સુરક્ષા એજન્સીઓ સહિત સામાન્ય લોકોની નજર હવે એનઆઈએની આગામી સત્તાવાર જાહેરાત પર ટકેલી છે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande