




પોરબંદર, 14 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં આયોજિત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોના ભાગરૂપે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ વાડી પ્લોટ શાક માર્કેટ વિસ્તારમાં સ્વયં શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મંત્રી સહિતના મહાનુભાવોએ વાડી પ્લોટ શાક માર્કેટ તથા આસપાસના વિસ્તારમાં પડેલા કચરાની સફાઈ કરી હતી અને નાગરિકોને પોરબંદર શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા માટે સક્રિય સહભાગી બનવાનો સંદેશ આપ્યો હતો.
આ સ્વચ્છતા અભિયાનમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, નાયબ કમિશનર મનન ચતુર્વેદી, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિત કોર્પોરેટરો, મહાનગરપાલિકાના અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ તથા નાગરિકો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya