જામનગરના કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરી
જામનગર, 14 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં આવેલા કુંભેશ્વર મંદિર નજીક ફુલઝર-1 નદી કાંઠે 6 ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાથરવામાં આવેલા ઇલેક્ટ્રિક કોપર વાયર અજાણ્યા શખ્સોએ ચોરી કરી લઈ જતાં ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું
ચોરી


જામનગર, 14 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં આવેલા કુંભેશ્વર મંદિર નજીક ફુલઝર-1 નદી કાંઠે 6 ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાથરવામાં આવેલા ઇલેક્ટ્રિક કોપર વાયર અજાણ્યા શખ્સોએ ચોરી કરી લઈ જતાં ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું છે.

આ અંગે નાગપુર ગામના મૂળ રહેવાસી અને હાલ કાલાવડના કૃષ્ણા-૨ વિસ્તારમાં રહેતા જતીનભાઈ પ્રવિણભાઈ કપુરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શનિવારે નોંધાવાયેલી ફરિયાદ મુજબ તેમની 10 વિઘા ખેતીની જમીન ખંઢેરા ગામની સીમમાં આવેલી છે, જ્યાં સિંચાઈ માટે ફુલઝર-1 નદીમાં મોટર મૂકી આશરે 250 ફૂટનો કોપર કેબલ વાયર પાથરવામાં આવ્યો હતો.

ગત 11 જૂનની રાત્રે પાણી આપ્યા બાદ વીજ પુરવઠો બંધ થતાં તેઓ ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે સવારે વાડી પર પહોંચીને મોટર ચાલુ કરવાનો પ્રયાસ કરતાં મોટર શરૂ ન થતાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન નદીમાં મોટરથી સ્ટાર્ટર સુધી પાથરેલો આશરે ૨૫૦ ફૂટ કેબલ વાયર કોઈ ધારદાર હથિયારથી કાપી ચોરી કરી લઈ જવાયો હોવાનું જાણવા મળ્યું હતું.

ફરિયાદ મુજબ જતીનભાઈનો આશરે 250 ફૂટ કેબલ વાયર કિંમત રૂ. 7,500 તથા અન્ય ખેડૂતોનો આશરે 380 ફૂટ કેબલ વાયર કિંમત રૂ. 11,400 મળી કુલ 630 ફૂટ કેબલ વાયર કિંમત અંદાજે રૂ. 18,900ની ચોરી થઈ હોવાનું જણાવાયું છે.

ઘટના 11 જૂનના રાત્રે 9:00 વાગ્યાથી 12 જૂનના સવારે 6:00 વાગ્યા દરમિયાન બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદીએ અજાણ્યા ચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ખંઢેરા ગામના વરૂડી પાટીયા પાસે રહેતા પીન્ટુ દેવીપુજક અને બંસી દેવીપુજક અવારનવાર આ વિસ્તારમાં આવજાવ કરતા હોવાથી તેમના પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande