



પોરબંદર, 14 જૂન (હિ.સ.)પોરબંદરના દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ, રોજગાર તેમજ યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવા મોરચાના કાર્યકરો અને યુવાનો સાથે ક્રિકેટ રમી રમતગમત પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહનો સંદેશ આપ્યો હતો.
રમતગમતમંત્રીએ યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને નિયમિત રમતગમત પ્રવૃત્તિઓ સાથે જોડાવા માટે પ્રેરિત થાય તે માટે દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચમાં તેમણે યુવાનો સાથે ખુશનુમા અને ઉત્સાહભર્યા વાતાવરણમાં રમતનો આનંદ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દેશભરમાં ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ખેલો ઈન્ડિયા’ જેવા અભિયાનોને વધુ વેગ આપવા માટે સતત સાયકલિંગ, યોગ અને વિવિધ રમતગમત પ્રવૃત્તિઓમાં સ્વયં ભાગ લેતા રહે છે. તેમના આવા પ્રયાસોથી યુવાનોમાં રમતગમત પ્રત્યે સકારાત્મક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ વધી રહી છે.
ક્રિકેટ મેચ દરમિયાન યુવા મોરચાના કાર્યકરો અને ખેલાડીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. કેન્દ્રીય મંત્રી સાથે મેદાનમાં ક્રિકેટ રમવાનો અવસર મળતા યુવાનોમાં આનંદ અને પ્રેરણાની લાગણી પ્રસરી હતી.
આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચાના મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી કુલદીપસિંહ જાડેજા , પોરબંદર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ ગોહેલ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી હર્ષભાઈ રૂઘાણી અને ધવલભાઈ ઓડેદરા તેમજ યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya