
અમરેલી,15 જૂન (હિ.સ.) અમરેલી ખાતે ‘પ્રગતિ પથયાત્રા–2026’ અંતર્ગત કેબિનેટ મંત્રી તથા જિલ્લા પ્રભારી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, જનકલ્યાણકારી કાર્યક્રમો અને જિલ્લાના વિકાસના કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, અમરેલીના સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, ધારાસભ્ય જનક તલાવિયા, ધારાસભ્ય જેજી કાકડિયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીતુ વાઘાણીએ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ અને વિકાસના કામોની માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રગતિ પથયાત્રાનો મુખ્ય હેતુ સરકારના વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો અને જનભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. તેમણે વિકાસની ગતિ જાળવી રાખવા માટે સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઉપસ્થિત આગેવાનોએ પણ વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસ કાર્યો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai