
અમદાવાદ,15 જૂન (હિ.સ.) જરાતના ખેડૂતો આજે કાંઈ નવાજૂની કરવાના મૂડમાં હોય તેમ વિવિધ જિલ્લાઓમાંથી અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે પહોંચી ગયા છે. ખેડૂતોના અધિકાર માટે આજે ટ્રેક્ટર યાત્રા યોજવામાં આવી છે. ટ્રેક્ટરો સાથેની અધિકાર યાત્રામાં નીકળી ગઈ પરંતુ ટ્રેક્ટરનું સ્ટિયરિંગ કોંગ્રેસ નેતાઓના હાથમાં છે.જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના ખેડૂતોએ ભાગ લીધો છે.
હાલમાં અમદાવાદની શાંતિપુરા ચોકડીથી કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નીકળી છે, જેમાં નેતાઓએ સ્ટિયરિંગ સંભાળ્યું છે, અમિત ચાવડા ટ્રેક્ટર લઈ નીકળ્યા તો પ્રગતિ આહિરે ગેનીબેન અને કરસન ભાદરકાને બેસાડી નીકળ્યા છે.શાંતિપુરા સર્કલથી ઓગણજ તરફની રેલીમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જોડાયા નથી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરમગામથી રેલીમાં જોડાયા બાદ અડધેથી રેલી છોડી ક્યાંક નીકળી ગયા છે.
ગુજરાતના તમામ તમામ જિલ્લાઓમાંથી 1,111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચવાનો દાવો હાલ તો કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેક્ટર રેલી વિરમગામથી નીકળી શાંતીપુરા સર્કલ થઈ ઓગણજ સભા સ્થળે પહોંચવાની છે. બીજી બાજુ અમદાવાદથી ગાંધીનગરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પોલીસે ખેડૂતોની રેલીને ઓગણજ સુધીની જ મંજૂરી આપી છે.
સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે. તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડો.તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશે.
ખેડૂતોની રેલીને પગલે અમદાવાદ અને ગાંધીનગરના પોલીસ એલર્ટ મોડ પર આવી ગયા છે. ગાંધીનગર કૂચ એલાન લઈને પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. એસપી,પીઆઇ તેમજ પીએસઆઈ સહિતના પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. 50થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત છે. ગાંધીનગરના મુખ્ય માર્ગો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર-30 સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસનો કડક પહેરો ગોઠવવામાં આવ્યો છે. ખેડૂતોની રેલીને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ