
જમ્મુ, 10 જુલાઈ (હિ.સ.) અમરનાથ ગુફા માટે 8,500થી વધુ યાત્રાળુઓનો નવમો જથ્થો શુક્રવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી દક્ષિણ કાશ્મીર હિમાલયમાં સ્થિત ગુફા મંદિરના બે બેઝ કેમ્પો માટે રવાના થયો.
અધિકારીઓએ જણાવ્યું કે, આજે સવારે 8,796 યાત્રાળુઓ જમ્મુ બેઝ કેમ્પથી 354 વાહનોના કાફલામાં રવાના થયા, જેમાં હળવા અને ભારે મોટર વાહનોનો સમાવેશ થતો હતો. આ જથ્થામાં બાલટાલ માટે 3,450 અને પહેલગામ માટે 5,346 યાત્રાળુઓ સામેલ હતા. તેઓ અનેક સ્તરના સુરક્ષા ઘેરામાં યાત્રા માટે રવાના થયા. યાત્રા સુરક્ષિત અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે નાગરિક વહીવટ, પોલીસ, સુરક્ષા દળો અને શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે સાથે મળીને વ્યવસ્થા કરી હતી.
યાત્રા શરૂ થયા બાદથી છેલ્લા સાત દિવસમાં દેશના અલગ-અલગ ભાગોમાંથી કુલ 1,71,501 યાત્રાળુઓએ, ગુફા મંદિરના દર્શન કર્યા છે. જમ્મુ-કાશ્મીર વહીવટે યાત્રાળુઓને અપીલ કરી છે કે તેઓ કન્ફર્મ રજિસ્ટ્રેશન અને યાત્રાની નક્કી તારીખ પર જ યાત્રા કરે, કારણ કે વગર રજિસ્ટ્રેશનના કોઈપણ યાત્રાળુને બેઝ કેમ્પ સુધી જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / રાધા પંડિત / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ