
નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્ર પહેલાં આયોજિત થનારી સર્વપક્ષીય બેઠક માટે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)થી અલગ થઈને નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (એનસીપીઆઈ)માં જોડાનારા 20 સાંસદોને પણ આમંત્રિત કર્યા છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ, એનસીપીઆઈના લોકસભામાં નેતા સુદીપ બંદ્યોપાધ્યાયને પત્ર લખીને 19 જુલાઈના રોજ યોજાનારી ફ્લોર લીડર્સની બેઠકમાં સામેલ થવા વિનંતી કરી છે. રિજિજુ દ્વારા 18 જુલાઈના રોજ લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, સુદીપ બંદ્યોપાધ્યાય સહિત 20 સાંસદો તાજેતરમાં એનસીપીઆઈમાં જોડાયા છે અને પાર્ટીને માન્યતા આપવાની વિનંતી લોકસભા અધ્યક્ષ સમક્ષ વિચારણા હેઠળ છે. તેમ છતાં સંસદના સુચારુ સંચાલન અને વિવિધ કાયદાકીય કાર્યો પર ચર્ચાના હેતુથી તેમને સર્વપક્ષીય બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
પત્રમાં જણાવાયું છે કે, લોકસભા અને રાજ્યસભાના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની આ બેઠક રવિવાર, 19 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે સંસદ ભવન એનેક્સીના મુખ્ય સમિતિ કક્ષમાં યોજાશે. બેઠકમાં ચોમાસુ સત્ર દરમિયાન ગૃહો સમક્ષ આવનારા મહત્વપૂર્ણ કાયદાકીય અને અન્ય સંસદીય કાર્યો પર ચર્ચા કરવામાં આવશે. સંસદીય કાર્ય મંત્રીએ તમામ પક્ષોને સંસદના બંને ગૃહોના સુચારુ સંચાલનમાં સહયોગ આપવા અપીલ કરી છે.
રિજિજુએ પોતાના પત્રમાં એનસીપીઆઈ વતી નિયુક્ત મુખ્ય દંડક (ચીફ વ્હીપ) ડૉ. કાકોલી ઘોષ દસ્તીદારને પણ બેઠકમાં સામેલ થવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, બંને નેતાઓની ઉપસ્થિતિથી બેઠકમાં સાર્થક ચર્ચા સુનિશ્ચિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ