
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) વિપક્ષના તેવરને જોતાં આજથી શરૂ થઈ રહેલું સંસદનું ચોમાસુ સત્ર, તોફાની રહેવાની શક્યતા છે. સરકારે ગઈકાલે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ શ્રીરામ મંદિર ચઢાવાની ચોરી, ઇથેનોલ અને નીટ પેપર લીક જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાવવાની માંગ કરી. સીમાંકન અને મહિલા અનામત વિધેયક અંગે સવાલો કર્યા.
સરકારે આ વિધેયકો પર કોઈ વાત કરી નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલાં સંસદ ભવનના હંસ દ્વાર પર સવારે 10.15 વાગ્યે મીડિયાને સંબોધિત કરી શકે છે. સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન 19 બેઠકો યોજાશે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકની શરૂઆતમાં વિપક્ષી દળોએ, તૃણમૂળના બળવાખોર જૂથને બોલાવવાને લઈને હોબાળો કર્યો અને થોડા સમય માટે બેઠકનો બહિષ્કાર પણ કર્યો.
બહિષ્કાર કરનાર પક્ષોમાં કોંગ્રેસ, સપા, દ્રમુખ, ઝામુમો, આમ આદમી પાર્ટી, નેશનલ કોન્ફરન્સ અને શિવસેના (યુબીટી) વગેરેનો સમાવેશ થતો હતો. સરકારે સ્થિતિ સ્પષ્ટ કર્યા પછી વિપક્ષી દળો ફરીથી બેઠકમાં જોડાયા. વિપક્ષી દળોનું કહેવું હતું કે જ્યારે આ જૂથને ગૃહમાં માન્યતા મળી નથી, તો કઈ હેસિયતથી બોલાવવામાં આવ્યું છે.
સરકારે સ્પષ્ટ કર્યું કે, લોકસભાના 20 સભ્યોએ એક અલગ જૂથ બનાવ્યું છે. તેમણે લોકસભા અધ્યક્ષ સમક્ષ પોતાની માન્યતા માટે અરજી પણ કરી છે. ભલે આ અંગે લોકસભા અધ્યક્ષે કોઈ નિર્ણય લીધો ન હોય, પરંતુ તેમની સંખ્યાને જોતાં તેમને અવગણી શકાય નહીં. લગભગ ત્રણ કલાક ચાલેલી સર્વપક્ષીય બેઠકમાં સરકારે વિપક્ષી દળોની વાત ધ્યાનથી સાંભળી. બેઠકમાં 40 પક્ષોના નેતાઓ સામેલ થયા. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે બેઠક સારી રહી. બધાએ પોતાની વાત રજૂ કરી. ગૃહ અવરોધ વિના ચાલે, તે આપણા સૌની જવાબદારી છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે ચોમાસુ સત્રમાં આઠ વિધેયક લઈને આવી રહી છે. આમાં વિદેશી યોગદાન (નિયમન) સંશોધન વિધેયક અને વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન જેવા વિધેયકોનો સમાવેશ થાય છે. ચોમાસુ સત્રમાં મહિલા અનામત અને સીમાંકન વિધેયક લાવવા અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. જો બે તૃતીયાંશ બહુમતીનો આંકડો પૂરો થશે, તો સરકાર આ વિધેયકોને પસાર કરાવવાનો પણ પ્રયાસ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ