
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) ચોમાસુ સત્રના પહેલા દિવસે આજે પ્રસ્તાવિત સંસદ માર્ચને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ દરમિયાન સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે પોતાના અનશનની સમાપ્તિ માટે ત્રણ શરતો મૂકી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં વાંગચુકે કહ્યું કે, તેઓ 20 જુલાઈના રોજ પોતાનું અનશન ત્યારે જ સમાપ્ત કરશે, જ્યારે તેમની ત્રણમાંથી કોઈ એક શરત પૂરી થશે. બીજી તરફ, તેમની પત્નીએ તેમને ખાનગી હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવાની માંગ સાથે, દિલ્હી ઉચ્ચ ન્યાયાલયની ખંડપીઠનો સંપર્ક કર્યો છે.
સોનમનું કહેવું છે કે, તેઓ અનશન ત્યારે જ સમાપ્ત કરશે, જો સરકાર શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતાઓ અને પ્રશ્નપત્ર લીક જેવા મામલાઓની જવાબદારી સ્વીકારે. અથવા તો સીજેપીનું નેતૃત્વ સંસદના પ્રવેશ દ્વાર સુધી પહોંચી જાય તથા વિવિધ પક્ષોના સાંસદો તેમને આશ્વસ્ત કરે કે તેઓ આ મુદ્દાને સંસદમાં ઉઠાવશે. અથવા તો જો સ્વાસ્થ્ય કે અન્ય કારણોસર તેઓ આવું કરવામાં સક્ષમ ન હોય, તો વિવિધ પક્ષોના સાંસદો હોસ્પિટલ પહોંચીને તેમને આ જ આશ્વાસન આપે.
બીજી તરફ, દિલ્હી મેટ્રો રેલ નિગમે સુરક્ષા કારણોનો હવાલો આપતા જનપથ, રાજીવ ચોક, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને સેવા તીર્થ મેટ્રો સ્ટેશનોને આગામી આદેશ સુધી સામાન્ય યાત્રીઓ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે.
સંસદ માર્ચના પગલે સંસદ પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ, રેપિડ એક્શન ફોર્સ અને વજ્ર વાહન તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન વિસ્તારની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ