
નવી દિલ્હી, 23 જુલાઈ (હિં.સ.). કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લામાં મુદિગુબ્બાથી કદિરી સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-42 ને બે લેનમાંથી ચાર લેનમાં વિકસાવવા માટે 679.71 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ પરિયોજનાથી આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના ઘણા વિસ્તારોને બેંગલુરુ-વિજયવાડા-કોલકાતા (બીકેવી) એક્સપ્રેસવે, તિરુપતિ અને ચેન્નઈ સુધી વધુ સારી સંપર્ક સુવિધા ઉપલબ્ધ થશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ, ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી. તેમણે કહ્યું કે, પરિયોજના હેઠળ હાલના બે લેનના રસ્તાને પાકા શોલ્ડર (પેવ્ડ શોલ્ડર) સહિત ચાર લેનના ધોરીમાર્ગમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પરિયોજનાથી અનંતપુર અને શ્રી સત્ય સાંઈ જિલ્લાઓ તેમજ કર્ણાટકના કેટલાક ભાગોથી બીકેવી એક્સપ્રેસવે, તિરુપતિ અને ચેન્નઈ સુધી અવિરત સંપર્ક સ્થાપિત થશે. આનાથી મુસાફરી અને માલ પરિવહનમાં લાગતો સમય ઘટશે, ટ્રાફિકનું દબાણ ઘટશે તથા પ્રાદેશિક લોજિસ્ટિક્સ અને આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે.
તેમણે કહ્યું કે, પરિયોજનામાં ચાર લેનનો મુખ્ય માર્ગ, સર્વિસ રોડ, એક ફ્લાયઓવર, એક વાહન અંડરપાસ-કમ-રોડ ઓવર બ્રિજ (વીયુપી-કમ-આરઓબી) તથા એક મુખ્ય પુલનું નિર્માણ કરવામાં આવશે. આનાથી મુસાફરો અને માલવાહક વાહનો માટે મુસાફરી વધુ સુરક્ષિત અને સુગમ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ