
નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). નિટ પ્રશ્નપત્ર લીક મુદ્દે સંસદમાં ચર્ચાને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ ચાલુ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસ ત્રણ માંગણીઓ પર અડગ છે, જેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી કરનારા દોષિતો સામે કાર્યવાહી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ પાસે માફીની માંગણીનો સમાવેશ થાય છે. અમે આ માંગણીઓ પર કોઈ સમાધાન નહીં કરીએ.
રાહુલ ગાંધીએ શુક્રવારે સંસદ ભવન પરિસરમાં પત્રકારોને જણાવ્યું કે, સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ તેમને કહ્યું કે, ચર્ચા થવા દેવામાં આવે. જ્યારે તેઓ જવાબ આપવા માંગતા હતા, ત્યારે તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું અને તેમને બોલવાની તક આપવામાં આવી નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું કે, વિપક્ષનું વલણ સ્પષ્ટ છે. પહેલી માંગણી છે કે, ભ્રષ્ટાચાર માટે જવાબદાર શિક્ષણ મંત્રીએ પદ છોડવું જોઈએ. બીજી માંગણી છે કે, જે લોકોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો, તેમના પર કાર્યવાહી અને જવાબદારી નક્કી થવી જોઈએ. ત્રીજી માંગણી છે કે, વડાપ્રધાન વિદ્યાર્થીઓ પાસે માફી માંગે.
તેમણે કહ્યું કે, આ મુદ્દા માત્ર રાજકીય નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા છે અને કોંગ્રેસ આના પર કોઈ સમાધાન નહીં કરે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ