
જુનાગઢ, 01 ઓગસ્ટ (હિ.સ.) : જૂનાગઢ સ્થિત ડૉ. સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે આજે વિદ્યાર્થીનીઓમાં આરોગ્ય જાગૃતિ વધે અને થેલેસેમિયા જેવા આનુવંશિક રોગ અંગે સચેતના કેળવાય તે હેતુથી થેલેસેમિયા પરીક્ષણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્ય ડૉ. બલરામ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં શિવમ લેબોરેટરી, જૂનાગઢની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓના થેલેસેમિયા પરીક્ષણ કરવામાં આવ્યા હતા. કેમ્પમાં આશરે ૩૫૦ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી.
આ પ્રસંગે તબીબી નિષ્ણાતોએ થેલેસેમિયા એક આનુવંશિક રોગ હોવાનું સમજાવી તેના નિવારણ માટે સમયસર પરીક્ષણ, જાગૃતિ અને લગ્ન પૂર્વે થેલેસેમિયા સ્ક્રીનિંગના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ પરીક્ષણ કેમ્પમાં પ્રજ્ઞેશભાઈ મહેતા (શિવમ લેબોરેટરી) મનીષભાઈ વસવેલીયા (જીવન પ્રકાશ બ્લડ બેન્ક) નેન્સીબેન પટેલ (જીવન પ્રકાશ બ્લડ બેન્ક) શ્રી મનીષભાઈ તેરૈયા (શિવમ લેબોરેટરી) એ પોતાની સેવાઓ આપી હતી.
આચાર્ય ડૉ. બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું સારું સ્વાસ્થ્ય જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. તેથી કોલેજ દ્વારા સમયાંતરે આવા આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના સતત પ્રયાસો કરવામાં આવે છે.
સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં કોલેજના પ્રાધ્યાપકગણ, બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ શિવમ લેબોરેટરી, જૂનાગઢની ટીમે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ પ્રકારના સમાજ જાગૃતિલક્ષી અને સમાજ ઉપયોગી કાર્યક્રમો કોલેજમાં યોજવા બદલ સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડા અને મીતાબેન ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ