


પોરબંદર, 01 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને પોરબંદર સર્કિટ હાઉસ ખાતે શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લાના વિદ્યાર્થીઓને વધુને વધુ કૌશલ્ય આધારિત તાલીમ ઉપલબ્ધ કરાવવા, વિવિધ ટ્રેડ કોર્સનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી પસંદગી માટે કારકિર્દી માર્ગદર્શન શિબિરોનું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ)માં સ્ટાફની ઉપલબ્ધતા, માળખાકીય સુવિધાઓની સ્થિતિ, તાલીમની ગુણવત્તા, વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસશિપની તકો વધારવા માટે જરૂરી આયોજન અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રીએ બાળ મજૂરી નિવારણ માટે અસરકારક અમલીકરણ, શ્રમિકોના હિતોની સુરક્ષા તેમજ વિવિધ શ્રમિક કલ્યાણ યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે જરૂરી પગલાં લેવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે રોજગારલક્ષી કાર્યક્રમોને વધુ પરિણામલક્ષી બનાવવા તેમજ કૌશલ્ય વિકાસ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મંત્રીના અંગત મદદનીશ જે.બી. વદર, જિલ્લા રોજગાર અધિકારી વી.એ. પરમાર, શ્રમ અધિકારી ચિંતન ભટ્ટ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya