
- વહેલું નિદાન જ સૌથી મોટું શસ્ત્ર: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
ગાંધીનગર, 17 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય સરકાર દરેક નાગરિકને શ્રેષ્ઠ અને સસ્તી કેન્સર સારવાર આપવા માટે કટિબદ્ધ છે. રાજ્યમાં વધતા જતા કેન્સરના કેસો, ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર) અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 'કેન્સર સામેની લડાઈમાં વહેલું નિદાન અને જાગૃતિ જ સૌથી મોટું શસ્ત્ર છે. જો સ્તન કેન્સર પ્રાથમિક તબક્કે જ ઓળખાઈ જાય, તો તે સંપૂર્ણપણે સાધ્ય છે.'
આરોગ્ય મંત્રીએ મહિલાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યની 30 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓએ નિયમિતપણે 'સેલ્ફ-બ્રેસ્ટ એક્ઝામિનેશન' અને 40 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓએ 'ડિજિટલ મેમોગ્રાફી સ્ક્રીનિંગ' કરાવવું જોઈએ. શરીરમાં કોઈપણ અસામાન્ય ગાંઠ કે લક્ષણ જણાય, તો તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા જીસીઆરઆઈ (GCRI) નો સંપર્ક કરવા મંત્રીશ્રીએ નાગરિકોને અનુરોધ કર્યો છે.
ગ્લોબોકેન (GLOBOCAN 2022) ના અહેવાલ મુજબ, સમગ્ર વિશ્વમાં દર વર્ષે કેન્સરના અંદાજે 1.99 કરોડથી વધુ નવા કેસો નોંધાય છે, જેની સામે ભારતમાં વાર્ષિક અંદાજે 14.13 લાખ નવા કેસો સામે આવે છે. રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના અંદાજ મુજબ, ગુજરાતમાં વર્ષ-2024 સુધીમાં કેન્સરના કુલ કેસોની સંખ્યા વધીને અંદાજિત 77,205 સુધી પહોચી હતી.
વિશેષરૂપે, ગુજરાતમાં મહિલાઓમાં જોવા મળતા તમામ પ્રકારના કેન્સરમાં સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર) 31.2% સાથે સૌથી વધુ પ્રમાણ ધરાવે છે. અમદાવાદના 'પોપ્યુલેશન બેઝ્ડ કેન્સર રજિસ્ટ્રી' (PBCR) ના ડેટા દર્શાવે છે કે, 0 થી 74 વયજૂથની દર 12 માંથી 1 મહિલાને કેન્સર થવાનું જોખમ રહેલું છે.
આ ઉપરાંત, 'ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (GCRI), અમદાવાદના વર્ષ 2015 થી 2025 ના આંકડા અનુસાર, માત્ર વર્ષ-૨૦૨૫માં જ સ્તન કેન્સરના 1541 નવા કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત વયજૂથ 41 થી 50 વર્ષના 469 કેસ અને 51 થી 60 વર્ષ 436 કેસ મહિલાઓના સામે આવ્યા છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1972 માં સ્થાપિત 'ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (GCRI) પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ આજે સમગ્ર દેશ માટે એક મોડેલ સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ બની ચૂકી છે. વર્ષ-2025 દરમિયાન GCRI ખાતે નોંધાયેલા કુલ 26812 કેન્સરના દર્દીઓમાંથી 17665 દર્દીઓ ગુજરાતના અને 9147 દર્દીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા. આ આંકડા ગુજરાતની આરોગ્ય સેવાઓ પર સમગ્ર દેશભરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.
રાજ્ય સરકારના સતત પ્રયાસોથી GCRI ખાતે કેન્સરની સારવાર માટે વિશ્વસ્તરીય અને અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાં સ્તન કેન્સરના સચોટ સ્ક્રીનિંગ અને વહેલી તપાસ માટે ડિજિટલ મેમોગ્રાફી, અત્યંત ચોકસાઈપૂર્વકની સર્જરી અને ઓપરેશન વગર સારવાર માટે સર્જિકલ રોબોટ તથા સાયબર નાઈફ, કેમોથેરાપી દરમિયાન વાળ ખરતા અટકાવવા માટે સ્કેલ્પ કૂલિંગ ડિવાઇસ, અને જનીન તપાસ દ્વારા વ્યક્તિગત સારવાર માટે નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ જેવા આધુનિક મશીનોનો લાભ રાજ્યના નાગરિકો વિનામૂલ્યે મેળવી રહ્યા છે.
આ ઉપરાંત, હોસ્પિટલ ખાતે TrueBeam LINAC, Tomotherapy, 3T MRI, Cobas 4800 (HPV DNA testing) અને 19 હાઈ-એન્ડ મોડ્યુલર OTs જેવી ઉત્કૃષ્ટ અને આધુનિક સુવિધાઓ પણ કાર્યરત છે. આ તમામ સેવાઓનો લાભ દર્દીઓ PMJAY યોજના હેઠળ નિ: શુલ્ક કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ