
નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યુઆઈડીએઆઈ) એ, શાળાના બાળકોના આધારમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (એમબીયુ) માટે ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ બે કરોડથી વધુ અપડેટ્સ પૂર્ણ કર્યા છે. આ વિશેષ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં દેશભરની લગભગ 1.56 લાખ શાળાઓને આવરી લેવામાં આવી છે.
યુઆઈડીએઆઈએ મંગળવારે જણાવ્યું કે, સપ્ટેમ્બર 2025 માં શરૂ કરાયેલા આ મિશન મોડ અભિયાનને યુડીઆઈએસઈ+ સાથેના ટેકનિકલ એકીકરણથી મદદ મળી છે. આના માધ્યમથી શાળાઓમાં બાળકોના એમબીયુની સ્થિતિની જાણકારી ઉપલબ્ધ થાય છે. યુઆઈડીએઆઈ અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ વિભાગોના સંકલનથી શાળા સ્તરે વિશેષ શિબિરો યોજવામાં આવ્યા, જેનાથી બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટની સુવિધા તેમની શાળાઓ સુધી પહોંચી.
યુઆઈડીએઆઈ અનુસાર, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર નોંધણી દરમિયાન જનસાંખ્યિકીય જાણકારી અને તસવીર લેવામાં આવે છે, જ્યારે તે ઉંમરે આંગળીઓના નિશાન અને આંખોની કીકી (આઇરિસ) નું બાયોમેટ્રિક વિવરણ નોંધવામાં આવતું નથી, કારણ કે આ ઉંમરે આ બાયોમેટ્રિક વિશેષતાઓ વિકસિત થઈ રહી હોય છે. એમબીયુના માધ્યમથી બાળકોના આધારમાં સમય સાથે અદ્યતન બાયોમેટ્રિક જાણકારી સુનિશ્ચિત કરવામાં આવે છે.
બાળકના પાંચ વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર અને પછી 15 વર્ષની ઉંમરે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરાવવું આવશ્યક છે. સમયસર એમબીયુ કરાવવાથી શાળાકીય શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધી આગળ વધવા દરમિયાન આધાર પ્રમાણીકરણની પ્રક્રિયા સુચારુ રહે છે અને તે વિવિધ સરકારી સેવાઓ તેમજ યોજનાઓનો લાભ લેવામાં સુવિધા થાય છે, જ્યાં આધાર પ્રમાણીકરણ આવશ્યક હોઈ શકે છે.
યુઆઈડીએઆઈએ બાળકોના એમબીયુને પ્રોત્સાહિત કરવા અને તેને વધુ સુલભ બનાવવા માટે શુલ્કમાં પણ છૂટ આપી છે. સાતથી 15 વર્ષની ઉંમરના બાળકો માટે એમબીયુ શુલ્ક 1 ઓક્ટોબર 2025 થી એક વર્ષ માટે માફ કરવામાં આવ્યું છે, જ્યારે પાંચથી સાત વર્ષ અને 15 થી 17 વર્ષની ઉંમરના બાળકો માટે એમબીયુ પહેલેથી જ નિ:શુલ્ક છે. આ પ્રકારે 30 સપ્ટેમ્બર 2026 સુધી પાંચથી 17 વર્ષની ઉંમરના બાળકો માટે એમબીયુ નિ:શુલ્ક છે.
યુઆઈડીએઆઈએ વાલીઓ અને સંરક્ષકોને બાળકોના આધારમાં સમયસર એમબીયુ કરાવવા અપીલ કરી છે. પ્રાધિકરણ મુજબ, એમબીયુ ન કરાવવાથી વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે આધાર પ્રમાણીકરણમાં મુશ્કેલી આવી શકે છે. આ ઉપરાંત, નીટ, જેઈઈ અને સીયુઈટી જેવી સ્પર્ધાત્મક તેમજ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષાઓના નોંધણીમાં પણ મુશ્કેલી થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ