
કોલકતા, નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.). કોલકતાના ફ્રી સ્કૂલ સ્ટ્રીટ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક હોટલમાં આગ લાગવાથી નવ લોકોના મોત થયા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસની ઘણી હોટલો પણ તેની ઝપેટમાં આવી ગઈ. ધૂમાડાથી ગૂંગળામણ થવાને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા, જેમને ઘટનાસ્થળેથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રાત્રે 2 વાગ્યા પહેલાં હોટલના ત્રીજા માળે આગ લાગી. જોતજોતામાં હોટલના રૂમમાં ધુમાડો ભરાઈ ગયો અને આગ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ. હોટલમાં રોકાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ અને લોકો જીવ બચાવવા માટે બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા.
ફાયર વિભાગને રાત્રે 2 વાગ્યેને 7 મિનિટે આગ લાગવાની જાણ થઈ. ફાયર ફાઈટરની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનની પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. હોટલ સાંકડી ગલીમાં આવેલી હોવાને કારણે ફાયર ફાઈટરની ગાડીઓને અંદર સુધી લઈ જવું શક્ય નહોતું. આવી સ્થિતિમાં, ફાયરકર્મીઓએ શરૂઆતમાં બહારથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. બાદમાં તેઓ હોટલની અંદર દાખલ થયા અને મોટા પાયે બચાવ અભિયાન ચલાવ્યું.
ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે છે. જોકે, આગના વાસ્તવિક કારણોની જાણ વિગતવાર તપાસ બાદ જ થઈ શકશે. ઘટનાસ્થળે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પણ તપાસ માટે પહોંચશે.
આ ઘટનાએ સોમવારે વહેલી સવારે બીરભૂમના તારાપીઠમાં થયેલા હોટલ અગ્નિકાંડની યાદ તાજી કરી દીધી. તે દુર્ઘટનામાં પણ નવ લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. ઘટના બાદ હોટલ માલિક પ્રબીર પાલ અને તેના પુત્ર કલ્યાણ આશિષ પાલને પોલીસે ધરપકડ કરી હતી.
કોલકતાની ઘટનાએ લગભગ એક વર્ષ પહેલાં મધ્ય કોલકાતાના મેચુઆ ફળપટ્ટી વિસ્તારમાં થયેલા હોટલ અગ્નિકાંડની યાદ પણ તાજી કરી દીધી. તે દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ