
ગાંધીનગર,28 ઓગસ્ટ (હિ.સ.) બુધવારે સવારે નેપાળ-તિબેટ સરહદ નજીક ગ્લેશિયરનો લગભગ 1.2 કિલોમીટર જેટલો ભાગ તૂટીને નીચે પડ્યો. આ પછી બરફ, ખડકો અને કાટમાળની સાથે મોટી માત્રામાં પાણી ઝડપથી નીચેની તરફ વહેવા લાગ્યું. થોડી જ વારમાં તેની અસર ભોટેકોશી નદી પર દેખાઈ અને નેપાળના અનેક વિસ્તારોમાં પૂર આવી ગયું.
અમેરિકાથી પવિત્ર કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા મૂળ ગુજરાતી ત્રણ શ્રદ્ધાળુઓ ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ગુમ થયેલા યાત્રાળુઓમાં દહેગામના જાણીતા અમીન પરિવારના સભ્ય અમિતા અમીનનો પણ સમાવેશ થાય છે.
અમિતાબેન દહેગામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રતિભાઈ અંબાલાલ અમીન ઉર્ફે કાભાઈ કાકાના પુત્રવધૂ તથા દહેગામ એપીએમસી ચેરમેન સુમેરુ અમીનના કૌટુંબિક કાકી થાય છે.
હાલ અમેરિકામાં સ્થાયી થયેલા અમિતાબેને અગાઉ સાત વખત કૈલાશ માનસરોવરની સફળ યાત્રા કરી છે, અને આ તેમની આઠમી યાત્રા હતી. તેઓ પોતાની વેવાણ તેજલ પટેલ અને અન્ય સગા ભૂપેન્દ્ર પટેલ સાથે આ પ્રવાસે નીકળ્યા હતા.
મૂળ ભારતીય ગુજરાતી અને હાલ અમેરિકન નાગરિકત્વ ધરાવતા આ ત્રણેય યાત્રાળુઓ કૈલાશ માનસરોવરના દુર્ગમ માર્ગો પરથી રહસ્યમય રીતે ગુમ થઈ જતાં અમેરિકાથી લઈને દહેગામ સુધી તેમના પરિવારજનો અને સ્નેહીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. તમામ લોકો તેમના હેમખેમ પરત ફરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ