
નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.). વારાણસીમાં 14,447.64 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા 46.039 કિલોમીટર લાંબા છ લેનના ગ્રીનફિલ્ડ ગંગા એલિવેટેડ કોરિડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-19 (એનએચ-19) થી વારાણસી રિંગ રોડ સુધી ઝડપી વાહનોનું અવિરત સંચાલન થશે. આ સાથે જ કાશી વિશ્વનાથ મંદિર, ગંગા ઘાટ, બીએચયુ, રામનગર અને કાશી રેલવે સ્ટેશન જેવા મુખ્ય સ્થળો સુધી પહોંચવું પણ સરળ બનશે. આ કોરિડોર પર વાહનો 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકશે, જેનાથી શહેરમાં સરેરાશ મુસાફરીનો સમય 60 મિનિટથી ઘટીને 20 મિનિટ થઈ જશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે બુધવારે પરિયોજનાની મુખ્ય વિશેષતાઓ વિશે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળે ગયા મહિને આ કોરિડોરને મંજૂરી આપી હતી. પરિયોજનાનો ઉદ્દેશ્ય વારાણસી અને ચંદૌલીમાં વધતા ટ્રાફિક દબાણને ઓછું કરવું, યાત્રાળુઓની યાત્રાને સુગમ બનાવવી અને શહેરને આધુનિક પરિવહન સુવિધાઓ સાથે જોડવાનો છે.
મંત્રાલય અનુસાર, આ એક્સેસ કંટ્રોલ છ લેન એલિવેટેડ કોરિડોર એનએચ-19, વારાણસી રિંગ રોડ (એનએચ-135-બી), રામનગર અને બીએચયુ ને એકબીજા સાથે જોડશે. કોરિડોર પર વાહનોની સંચાલન ગતિ 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાક હશે. તેના નિર્માણથી પરિયોજના ક્ષેત્રમાં સરેરાશ મુસાફરીનો સમય લગભગ 60 મિનિટથી ઘટીને 20 મિનિટ થઈ જશે, જ્યારે NH-19 થી કાશી રેલવે સ્ટેશન સુધી પહોંચવામાં લાગતો સમય લગભગ 50 મિનિટથી ઘટીને 25 મિનિટ થઈ જશે.
પરિયોજનામાં ગંગા નદી પર 910 મીટર લાંબો કેબલ-સ્ટે પુલ બનાવવામાં આવશે. આ ઉપરાંત 1.32 કિલોમીટર લાંબો એક્સ્ટ્રાડોઝ્ડ ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે, જેમાં ટ્રાવેલેટરની સુવિધા હશે. આનાથી રાહદારીઓને કાશી વિશ્વનાથ મંદિર સુધી સુરક્ષિત અને સરળ પહોંચ મળશે. પરિયોજનામાં હાલના અને પ્રસ્તાવિત માલવીય પુલ ઉપર રેલ ઓવર બ્રિજ પણ બનાવવામાં આવશે.
ટ્રાફિક સુચારુ રાખવા માટે બીએચયુ-લંકાથી સામે ઘાટ સુધી એલિવેટેડ સ્પર તૈયાર કરવામાં આવશે, જેનાથી લંકા ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યા ઓછી થશે. પરિયોજનામાં ઇમરજન્સી પાર્કિંગ બે, અવાજ ઓછો કરવા માટે નોઈઝ બેરિયર, આકર્ષક ફસાડ લાઇટિંગ તથા વારાણસીના સાંસ્કૃતિક વારસાથી પ્રેરિત વાસ્તુશિલ્પીય ડિઝાઇન પણ સામેલ કરવામાં આવ્યા છે.
મંત્રાલય અનુસાર, આ કોરિડોર પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અનુસાર બહુ-માધ્યમ (મલ્ટીમોડલ) સંપર્કને પણ મજબૂત કરશે. આનાથી એનએચ-19, વારાણસી રિંગ રોડ, લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, કાશી રેલવે સ્ટેશન અને રામનગર અંતર્દેશીય જળમાર્ગ ટર્મિનલ વચ્ચે બહેતર સંપર્ક સ્થાપિત થશે. આનાથી યાત્રીઓ સાથે-સાથે માલ પરિવહન પણ વધુ ઝડપી અને સુગમ બનશે.
મંત્રાલયે જણાવ્યું કે, બહેતર સંપર્ક અને ઓછા મુસાફરીના સમયથી વારાણસી આવનારા યાત્રાળુઓ અને પર્યટકોને સુવિધા મળશે. આનાથી પર્યટન, હોટેલ, પરિવહન, હસ્તકલા, છૂટક વેપાર અને સ્થાનિક રોજગારને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
હિંદુસ્થાન સમાચાર / શાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ