


ગણપતિજીને શણગાર સહિત ષોડશોપચારથી પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી
વૈદિક પરંપરા અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને ઉજાગર કરવા ગુરૂકુલ પર્વોની ઉજવણી કરે છે
પર્વોના માધ્યમથી બાળકો અને યુવાઓમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય છે
ભરૂચ 15 સપ્ટેમ્બર (હિ.સ.)
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, અંકલેશ્વરમાં શ્રી ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા શ્રીગણપતિજીનું વૈદિક વિધિપૂર્વક પૂજન કરાયુ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અંકલેશ્વર ખાતે પવિત્ર શ્રીગણેશ ચતુર્થીના શુભ અવસરે વિઘ્નહર્તા, બુદ્ધિદાતા અને મંગલમૂર્તિ શ્રી ગણપતિજી દાદાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે ભાવભેર પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.
આ પાવન પ્રસંગે શ્રી ગણપતિજીને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા તથા ધર્મવિધિ અનુસાર ષોડશોપચારથી પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી. પૂજામાં ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાભાવપૂર્વક ભાગ લઈ સર્વના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિ પ્રાપ્ત થાય તેમજ તમામ વિઘ્નો દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.
પૂજાના આ પવિત્ર પ્રસંગે ગુરુકુલના વડા ગુરૂવર્ય કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સાનિધ્યમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. વૈદિક પરંપરા અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને ઉજાગર કરવા ગુરૂકુલ દ્વારા આવા પર્વોની ઉજવણી સતત થયા કરે છે, આ પર્વોના માધ્યમથી બાળકો અને યુવાઓમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય છે.
અંતે શ્રી ગણપતિજી દાદાની આરતી કરી સૌએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના પવિત્ર માહોલમાં સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ