
જામનગર, 15 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામે રહેતી એક ૧૯ વર્ષીય કોલેજિયન યુવતી જામનગર ખાતે આવેલી પોતાની કોલેજે જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ, રહસ્યમય રીતે ગુમ થઈ જતાં પરિવારજનોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે યુવતીના પરિવારે ધ્રોલ પોલીસ મથકનો સંપર્ક કરી જાણ કરતા પોલીસે ગુમનોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખારવા ગામે હાલમાં સ્થાયી થયેલા અને મૂળ મોટા ઇટાળા ગામના વતની પાર્વતીબેન જયંતીભાઈ રાઠોડની ૧૯ વર્ષીય પુત્રી રચનાબેન જયંતીભાઈ રાઠોડ જામનગરની એ.કે. દોશી કોલેજમાં અભ્યાસ કરે છે. ગત તારીખ ૧૧ સપ્ટેમ્બરના રોજ સવારે આશરે સાતેક વાગ્યાના સુમારે રચનાબેન પોતાના ઘરેથી દરરોજની જેમ જામનગર કોલેજે જવા માટે નીકળ્યા હતા. જોકે, સાંજ સુધી યુવતી પરત ન ફરતાં પરિવારે તેની ચિંતામાં મુકાઈને શોધખોળ શરૂ કરી હતી. પરિવારે આસપાસના વિસ્તારો, મિત્ર વર્તુળ તેમજ સગાસંબંધીઓને ત્યાં તમામ શક્ય જગ્યાઓએ તપાસ કરવા છતાં રચનાબેનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે કોઈ અનિચ્છનીય બનાવની આશંકાએ પરિવારે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે લેખિત જાણ કરી હતી. ધ્રોલ પોલીસે યુવતીની ગુમ થયા અંગેની નોંધ કરીને તેના મોબાઈલ લોકેશન તથા રસ્તા પરના સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt