
મહેસાણા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા વાસીઓને સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી તરફ પ્રેરિત કરવા માટે 15 નવેમ્બર 2026ના રોજ સવારે મહેસાણા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ‘દોડો મહેસાણા, જીતો જિંદગી’ના સંદેશ સાથે યોજાનારી આ મેરેથોનમાં પરિવાર અને મિત્રો સાથે જોડાવા માટે લોકોને આહ્વાન કરવામાં આવ્યું છે.
મેરેથોન અંગે વિસનગરના પીણા પટેલ ‘પિન્કી’એ જણાવ્યું કે દોડવું માત્ર શારીરિક કસરત નથી, પરંતુ આત્મવિશ્વાસ અને મનોબળ વધારવાનું માધ્યમ પણ છે. નિયમિત દોડવાથી રક્તસંચાર સુધરવા સાથે હૃદયને મજબૂતી મળે છે. ઉપરાંત, દોડવાથી દિવસભરનો થાક અને માનસિક તણાવ ઘટાડવામાં મદદ મળે છે અને જીવનમાં નવી ઊર્જાનો સંચાર થાય છે.
આ મેરેથોનને માત્ર દોડની સ્પર્ધા નહીં પરંતુ મહેસાણાને વધુ સ્વસ્થ અને સક્રિય બનાવવા માટેના અભિયાન તરીકે જોડાવા અપીલ કરવામાં આવી છે. મહેસાણાવાસીઓને પરિવાર અને મિત્રો સાથે મેરેથોનમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. મેરેથોનમાં ભાગ લેવા માટે 18thkilometer.com પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR