
સેલવાસ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : દાદરા અને નગર હવેલીમાં આગામી 4 અને 5 સપ્ટેમ્બરના રોજ યોજાનાર જન્માષ્ટમી મહોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તહેવાર દરમિયાન બજાર વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થવાની શક્યતાને પગલે ટ્રાફિક જામ અને વાહનવ્યવહારની સમસ્યા ન સર્જાય તે માટે અસ્થાયી ટ્રાફિક નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા છે.
પોલીસની જાહેર સૂચના મુજબ, 2 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર, 2026 દરમિયાન સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી કિલવણી નાકા જંક્શન થઈને ઔદ્યોગિક તથા કંપનીની બસો અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
કંપની અને ઔદ્યોગિક બસો દ્વારા કર્મચારીઓના પિકઅપ-ડ્રોપ માટે પંચમુખી હનુમાન, ભાસતા ફળિયા, ગોગ બાર, ડોકમરડી બ્રિજ તથા સેલવાસ પોલીસ સ્ટેશન સામે નિર્ધારિત પિકઅપ-ડ્રોપ પોઈન્ટનો ઉપયોગ કરવાનો રહેશે.
પોલીસે બસ ઓપરેટરોને નિર્ધારિત સ્થળો સિવાય રસ્તા પર બસો ઊભી ન રાખવા અને ટ્રાફિકને અવરોધ ન થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે. સાથે જ તમામ ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરો, બસ ઓપરેટરો અને ભારે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
નિયમોનો ભંગ કરનાર વાહનો સામે મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ કાયદેસરની કાર્યવાહી તથા દંડ કરવામાં આવશે. જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ અને સુરક્ષિત રહે તે માટે પોલીસ વિભાગે નાગરિકો તથા સંબંધિત તમામ લોકોનો સહયોગ આપવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha