
સુરત, 02 સપ્ટેમ્બર (હિ.સ.): ભારતીય સનાતન સંસ્કૃતિ અને ગુજરાતની લોકપરંપરામાં શ્રાવણ વદ સપ્તમી એટલે કે શીતળા સાતમનું વિશેષ ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ છે. આ પવિત્ર દિવસે આરોગ્ય, શીતળતા અને રોગમુક્તિના પ્રતીક એવાં મા શીતળાની ભક્તિભાવપૂર્વક શ્રીફળ વધેરીને મા શીતળાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે, જે આપણી પ્રાચીન ઋતુચર્યા અને વિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ તહેવારે ગૃહિણીઓ દ્વારા ચૂલો ન પ્રગટાવીને ટાઢું ભોજન ગ્રહણ કરવાનો મહિમા છે. ખાસ કરીને ઘરના પાણીઆરે, જ્યાં મા અન્નપૂર્ણા અને પવિત્રતાનો વાસ ગણાય છે, ત્યાં નાગરવેલના પાન પર ઘીનો દીવો પ્રગટાવી તેમજ ઘઉંના લોટમાંથી બનેલી પવિત્ર કુલેરનો પ્રસાદ ધરાવીને 'માતાજી જારવા'ની અતિ પ્રાચીન પરંપરા છે. આ વિધિ દ્વારા પરિવારના સંતાનોના દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. શ્રદ્ધા અને સંસ્કૃતિનો આ મહાપર્વ પૂર્ણ થતાં જ વાતાવરણમાં પછીના દિવસે આવતા કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનો હર્ષોલ્લાસ છવાઈ જાય છે.
વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, શ્રાવણ માસ દરમિયાન ચોમાસાની ઋતુ તેના ચરમસીમા પર હોય છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી પાણી અને ખોરાકમાં બેક્ટેરિયા તથા રોગકારક સૂક્ષ્મજીવાણુઓનો ઉપદ્રવ ઝડપથી ફેલાય છે. આ સમયગાળામાં ઉબકા, ઉલટી, ટાઈફોઈડ, ઝાડા-ઉલટી અને ઓળી જેવા જલજન્ય તથા મોસમી રોગોનું જોખમ સૌથી વધુ રહે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને જ આપણા પૂર્વજોએ શીતળા સાતમના દિવસે ચૂલો ન સળગાવવાની અને અગાઉના દિવસે (શીતળા આઠમ કે રાંધણ છઠ્ઠના દિવસે) બનાવેલો ઠંડો ખોરાક આરોગવાની પરંપરા સ્થાપિત કરી છે, જે તત્કાલીન સમયની જાહેર આરોગ્ય સુરક્ષા વ્યવસ્થાનો જ એક ભાગ છે.
રાજ્ય અને સમાજમાં આ પર્વનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ અનોખું છે. આ દિવસે કુટુંબના તમામ સભ્યો એકત્રિત થઈને શીતળા માતાની પૂજા-અર્ચના કરે છે અને સંતાનોના દીર્ઘાયુ તથા નીરોગી જીવન માટે પ્રાર્થના કરે છે. આજના આધુનિક યુગમાં, જ્યારે ફાસ્ટ ફૂડ અને અનિયમિત જીવનશૈલીના કારણે સ્વાસ્થ્ય સંબંધી જોખમો વધી રહ્યા છે, ત્યારે શીતળા સાતમ જેવા પરંપરાગત તહેવારો આપણને પ્રકૃતિ સાથે તાલ મિલાવીને જીવતા શીખવે છે અને શિસ્તબદ્ધ આહાર વિહારના પાઠ ભણાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે