
પાટણ, 02 સપ્ટેમ્બર (હિ.સ.)અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમના મેળાને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા HNGU, પાટણના NSS વિભાગે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. માઈભક્તો, પદયાત્રા સંઘો અને સેવા કેમ્પ સંચાલકોને પર્યાવરણને અનુકૂળ સામગ્રી વાપરવા અપીલ કરાઈ રહી છે.
મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોવાથી પ્લાસ્ટિકના કચરાની સમસ્યા ઊભી થાય છે. તેને અટકાવવા NSS ટીમે સેવા કેમ્પોમાં ડિસ્પોઝેબલ કપ, પ્લેટ અને ગ્લાસનો ઉપયોગ બંધ કરી ફરીથી વાપરી શકાય તેવી સામગ્રી અપનાવવા ખાસ ભાર મૂક્યો છે.
અભિયાન અંતર્ગત સેલિબ્રિટીઓ તેમજ HNGUના કુલપતિ અને કુલસચિવના વિડિયો સંદેશા તૈયાર કરાયા છે. અત્યાર સુધીમાં 350થી વધુ સેવા કેમ્પ સંચાલકોનો સીધો સંપર્ક કરી તેમને પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાવા અપીલ કરાઈ છે.
અભિયાનના સંકલન માટે પ્લાસ્ટિક મુક્ત મેળામાં જોડાયેલા સેવા કેમ્પોનું વોટ્સએપ ગ્રુપ બનાવાયું છે. આગામી દિવસોમાં નોંધણી ન કરાવનારા તેમજ હરતા-ફરતા કેમ્પોનો સંપર્ક કરી અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ