સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાઇલટોએ એશિયન સિંહને સુરક્ષિત બચાવ્યો
ભાવનગર 8 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા એશિયન સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સંવેદનશીલ વન્યજીવ વિસ્તારોમાં ટ્રેનોનું સંચાલન અત્યંત સાવચેતી અને નિર્ધારિત ગતિ મર્યાદા સાથે કરવામાં આવી રહ્યું છે. મંડળ
પાઇલટોએ એશિયન સિંહને સુરક્ષિત બચાવ્યો


ભાવનગર 8 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા એશિયન સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સંવેદનશીલ વન્યજીવ વિસ્તારોમાં ટ્રેનોનું સંચાલન અત્યંત સાવચેતી અને નિર્ધારિત ગતિ મર્યાદા સાથે કરવામાં આવી રહ્યું છે. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન તથા વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇજનેર (ટ્રેક્શન) શ્રી વિજેન્દ્ર કુમાર મીણાના નેતૃત્વ હેઠળ લોકો પાઇલટોને વન્યજીવ વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા માટે સતત જાગૃત અને માર્ગદર્શિત કરવામાં આવે છે.

આ જ સતર્કતાનું એક પ્રશંસનીય ઉદાહરણ 08 સપ્ટેમ્બર 2026ના રોજ સામે આવ્યું, જ્યારે રાજુલા સિટી–રાજુલા જંકશન રેલખંડ પર એક એશિયન સિંહ રેલવે ટ્રેક પાર કરતો જોવા મળ્યો. માલગાડીનું સંચાલન કરી રહેલા લોકો પાઇલટ શ્રી રિકેશ કુમાર ભાટિયા તથા વરિષ્ઠ સહાયક લોકો પાઇલટ શ્રી કૈલાશ કુમાવતએ કિલોમીટર નંબર 04/16–15 નજીક ટ્રેક પર સિંહને જોતા જ તાત્કાલિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી. તેમની ત્વરિત કાર્યવાહી અને સતર્કતાના કારણે એશિયન સિંહ સંભવિત રેલ અકસ્માતનો ભોગ બનવાથી બચી ગયો.

ઘટનાના તુરંત બાદ લોકો પાઇલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ) તથા રાજુલા સિટીના ઉપ સ્ટેશન અધિક્ષકને જાણ કરવામાં આવી. માહિતી મળતાં જ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર ભરતભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા અને સિંહને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કર્યો. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ માલગાડીને સાવચેતીપૂર્વક તેના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી.

ભાવનગર મંડળમાં રેલવે તથા વન વિભાગ વચ્ચેના અસરકારક સંકલન અને લોકો પાઇલટોની સતર્કતાના પરિણામે અનેક એશિયન સિંહોને સંભવિત રેલ અકસ્માતોથી બચાવવામાં આવ્યા છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 159, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 129 તથા વર્તમાન નાણાકીય વર્ષ 2026-27માં એપ્રિલ મહિનાથી અત્યાર સુધી 65 એશિયન સિંહોને સંભવિત રેલ અકસ્માતોથી સુરક્ષિત બચાવવામાં આવ્યા છે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા તથા અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓએ લોકો પાઇલટોની સતર્કતા, ત્વરિત નિર્ણય ક્ષમતા, સંવેદનશીલતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરતાં તેમને અભિનંદન પાઠવ્યા છે. ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવે, વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને સતત વધુ મજબૂત બનાવતાં રેલવે અને વન વિભાગના સંકલિત પ્રયાસો દ્વારા એશિયન સિંહો સહિત અન્ય વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande