અમરેલી/અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા વ્યાપક સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચી રહ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રાભાડા ગામે ગ્રામસભા અંતર્ગત સાર્વજનિક સ્થળોએ કચરાપેટી મૂકવામાં આવી હતી.
સરપંચના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગ્રામ સભામાં ગામના તલાટી કમ મંત્રી અને આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગામના ધાર્મિક સ્થળ, દુકાનો, જાહેર સ્થળોને કચરો ફેંકવા માટે ઉપયોગી થાય તે માટે કચરાપેટી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનોએ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો. રાજ્યભરમાં 17 સપ્ટેમ્બર થી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો અને સ્વચ્છતા શ્રમદાન કાર્ય શરુ છે. આ કાર્યક્રમો થકી નાગરિકોના સ્વભાવમાં સ્વચ્છતા જાળવવાના સંસ્કારોનું સિંચન કરવાનો પ્રયાસ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ