સોમનાથ/અમદાવાદ,24 એપ્રિલ (હિ.સ.) આગામી લોકસભા ચૂંટણીમાં જિલ્લાના તમામ મતદારો સહભાગી બની મતદાન કરે અને ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે ગીર સોમનાથ કિન્નર સમૂદાયે અનુરોધ કર્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના પાયાને મજબૂત કરવા અને વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે સમાજમાં થર્ડ જેન્ડર તરીકે ઓળખાતા કિન્નર સમાજે પણ તેમાં સહભાગી થતાં ચૂંટણીપર્વમાં તેઓ મતદાન કરી ચૂંટણીનો ભાગ બનશે.
ડારી ટોલનાકા પાસે હંમેશા કિન્નર સમાજના લોકો આપણને જોવા મળે છે. આ સમાજના લોકોએ ટોલનાકા પાસેથી પસાર થતાં લોકોને ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય વોટ આપવા માટે આજે અપીલ કરી હતી. કિન્નર સમૂદાયના સેજલ, જાગૃતિ, રિયા, રીના સહિતના કિન્નરોએ વેરાવળના ડારી ટોલનાકા પાસેથી પસાર થતાં તમામ વાહનચાલકોને સહપરિવાર મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
કિન્નર સેજલે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, જાગૃત મતદાતા લોકતંત્રનો મજબૂત પાયો છે. તંદુરસ્ત લોકશાહીનું નિર્માણ કરવા મત આપવો ખૂબ જ જરૂરી છે. તમામ લોકોએ સહપરિવાર લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઇએ. અમે પણ લોકશાહીના પર્વને મજબૂત બનાવવા મતદાન કરીશું અને અન્યને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરશું.વધુમાં, તેમણે લોકશાહીના અવસરમાં મહત્તમ લોકો સહભાગી બની પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અનેવધુમાં વધુ મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બને એવી અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર/