ક્ષત્રિય આંદોલન પાર્ટ-2: રાજકોટ મા આશાપુરા મંદિરથી નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન, ધર્મરથ 200 ગામડાં ફરશે
- સૌપ્રથમ અન્નત્યાગ પર ઊતરેલાં પદ્મિનીબા ન દેખાયાં રાજકોટ/અમદાવાદ,24 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં રાજકો
ક્ષત્રિય આંદોલન પાર્ટ-2: રાજકોટ મા આશાપુરા મંદિરથી નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન, ધર્મરથ 200 ગામડાં ફરશે


- સૌપ્રથમ અન્નત્યાગ પર ઊતરેલાં પદ્મિનીબા ન દેખાયાં

રાજકોટ/અમદાવાદ,24 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરાવવા ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પાર્ટનો આજે રાજકોટ થી પ્રારંભ કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે.

ભાજપ પક્ષ દ્વારા ક્ષત્રિય સમાજ જોડે ચાલી રહે વાટાઘાટો વચ્ચે ક્ષત્રિય સમાજની માગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું છે. આજે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી અહીં આવ્યા હતા. તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધર્મરથ ગુજરાતનાં 200 ગામડાં ફરશે. જોકે આ તકે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સૌપ્રથમ અન્નત્યાગ પર ઊતર્યાં હતાં એ પદ્મિનીબા વાળા દેખાયાં નહોતાં.

ધર્મરથના પ્રસ્થાન સમયે ‘ક્ષત્રિય એકતા ઝિંદાબાદ’, ‘નારી કા અપમાન નહીં સહેંગે’, ‘જય ભવાની’ સહિતના નારા લાગ્યા હતા. આ ધર્મરથ 200થી વધુ ગામડાંમાં ફરશે અને ક્ષત્રિય સમાજ સહિત અઢારેય વરણના લોકોને સત્તાપક્ષ વિરુદ્ધ મતદાન કરવા માટે સમજણ આપવામાં આવશે. ગુજરાતના 5 ઝોનમાં આ રીતે ધર્મરથ પ્રસ્થાન કરવાનો છે.

ગુજરાતના 5 ઝોનના અલગ અલગ જિલ્લાઓમાંથી ધર્મરથ પ્રસ્થાન થવાનો છે. જામનગરમાં દ્વારકાથી તો કચ્છમાં આશાપુરા માતાજીના મઢથી ધર્મરથનું પ્રસ્થાન થઈ રહ્યું છે. રાજકોટમાં આજે તો ઉત્તર ગુજરાતમાં ધર્મરથ અંબાજીથી આવતીકાલે પ્રસ્થાન થવાનો છે.

રાજકોટનાં પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકોટ સહિત 7 જગ્યાએથી ધર્મરથ નીકળી રહ્યો છે. રાજ્યની તમામ લોકસભા બેઠક પરથી ક્ષત્રિય સમાજનો ધર્મરથ નીકળવાનો છે. ગામડાંમાં ક્ષત્રિય સમાજનું એક ઘર હોય તોપણ તમામ લોકોએ ખાતરી આપી છે કે બાપુ અમે તમારી સાથે છીએ, કારણ કે ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓ તમામ સમાજની બહેન-દીકરીઓ છે. તેમણે જણાવ્યું હતું કે જો પુરુષોતમ રૂપાલાએ એમ કહ્યું હોય કે દેશને તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્ષત્રિય સમાજની જરૂર છે તો રૂપાલાએ બતાવવું જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ કરવાની એકમાત્ર માગ સ્વીકારવામાં ન આવતાં અમારે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ફરજ પડી છે. બાકી 80 ટકા ક્ષત્રિય ભાજપની સાથે રહ્યા છે. ભાજપમાં રહેલા ક્ષત્રિયો સિવાય ક્ષત્રિય સમાજનો એકપણ દીકરો ભાજપને મતદાન નહીં કરે એવો વિશ્વાસ છે. એવી અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે કે સંકલન સમિતિએ સરકાર સાથે સમાધાન કરી લીધું, પરંતુ એવું કંઈ જ નથી. આ સંકલન સમિતિએ ક્ષત્રિય સમાજનો અવાજ છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની 92માંથી એકપણ સંસ્થા ઓછી થઈ નથી.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande