ભુજ/અમદાવાદ,24 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી ઊંચી આવે તેવા હેતુસર 15 દિવસીય સઘન કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત 22 એપ્રિલથી ઇલેક્શનના આગળના દિવસ 6 મી મે સુધી દરરોજ અલગ-અલગ પ્રવૃત્તિઓ કરવાનું આયોજન છે. જેમાં 23 એપ્રિલે સમગ્ર જિલ્લામાં અવસર ડિસ્કાઉન્ટ બાબતે જિલ્લાના મોટા શહેરો અને તાલુકાઓમાં વેપારીઓ,સંસ્થાઓ, મોલ માલિકો સાથે બેઠકો યોજવામાં આવી હતી.
15 દિવસીય સઘન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં TIP( Turnout Implementation Plan) અને SVEEP હેઠળ અવસર ડિસ્કાઉન્ટ બાબતે જિલ્લાના વેપારીઓ, સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 7 મે ના મતદાનના દિવસે મતદાન કરનાર મતદાતાઓને આવા વેપારીઓ દ્વારા અવસર ડિસ્કાઉન્ટ હેઠળ 7 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ખરીદી કે સર્વિસ ઉપર આપવા વેપારીઓને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર જિલ્લામાંથી કુલ 70 ઉપરાંત વેપારીઓ દ્વારા અવસર ડિસ્કાઉન્ટની ઝૂંબેશમાં સહભાગી થવાની અને લોકશાહીમાં પોતાનું યોગદાન આપવાની તત્પરતા બતાવી હતી.
અવસર ડિસ્કાઉન્ટ બાબતે સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા 10 જેટલી બેઠકોનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 239 કરતા પણ વધુ વેપારી મિત્રો જોડાયા હતા અને 70 કરતાંય વધુ વેપારી મિત્રો દ્વારા લોકશાહીના યજ્ઞમાં મતરૂપી આહુતિ આપનાર ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવા ખરીદી કે સેવા ઉપર સહમતી દર્શાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/