પોરબંદર,27 એપ્રિલ (હિ.સ.) પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ખુદ પ્રચાર કરવાના છે. પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયાની ઉમેદવારી જાહેર થઈ ત્યારે થોડા ઘણા વિરોધના સૂર ઉઠ્યા હતા. માંડવિયાને આ બેઠક પર આયાતી ઉમેદવાર ગણીને વિરોધીઓએ નિવેદનો કર્યા હતા. જો કે મનસુખ માંડવિયા આ વિરોધ પ્રત્યે ધ્યાન આપ્યા વિના પોરબંદર લોકસભા બેઠક અંતર્ગત આવતા વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. હવે તેમને ટેકો આપવા ખુદ અમિત શાહ પોરબંદરના જામકંડોરણા ખાતે આજે આવ્યા હતાં. અમિત શાહની જામકંડોરણા મુલાકાત ખાસ બની રહે તે માટે સ્થાનિક ભાજપ આગેવાનોએ તડામાર તૈયારીઓ કરી હતી. જામકંડોરણા ખાતે કુમાર છાત્રાલયમાં 50 હજાર લોકોની જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપે અમિત શાહના પ્રચાર દરમિયાન ''વિજય સંકલ્પ સભા''નું આયોજન કરાયું હતું.
આ સભામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, યુવા અધ્યક્ષ, પ્રશાંત કોરાટ, દિલીપ સંઘાણી, અર્જુન મોઢવાડિયા, મહેન્દ્ર પાડલીયા, અરવિંદ લાડાણી, તેમજ પ્રદેશ તેમજ નાના મોટા નેતા ઉપસ્થિત રહ્યા હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના પાટનગર ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણાં પહોંચ્યા હતા. અહીં તેમણે જનસભા સંબોધીને વિરોધીઓ પર વાકબાણ ચલાવ્યા હતા. 370ની કલમ સહિતના મુદ્દે તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે તેમણે આ ટર્મમાં પણ ગુજરાતની તમામ બેઠકો જીતવાનો નિર્ધાર પણ કર્યો છે. અમિત શાહ આજે જામકંડોરણા બાદ ગુજરાતની ભરૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પરથી સભા કરવાના છે. જામકંડોરણાથી અમિત શાહે પોતાના ભાષણની શરુઆતમાં જ નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાનું વચન લોકો પાસે માગ્યું હતું. આ સાથે તેમણે દેશમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંકનો પણ ઉલ્લેખ કર્યો હતો.કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા પણ અમિત શાહની સભામાં કેસરિયા ખેસ સાથે જોવા મળ્યા હતા. નોંધનીય છે કે અર્જુન મોઢવાડિયાની પોરબંદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. નોંધનીય છે કે પોરબંદર બેઠક પરથી રમેશભાઈ ધડુક ચૂંટણીના મેદાનમાં છે અને અમિત શાહ તેમના મતવિસ્તારમાં નરેન્દ્ર મોદી સરકારે કરેલી કામગીરી વિશેની વાત કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર વાકબાણ ચલાવ્યા હતા. પોતાના સંબોધનની શરુઆતમાં શાહે દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનારા મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા હતા.
તેમણે ગુજરાતી કહેવત ‘તેજીને ટકોર’નો ઉલ્લેખ કરીને પોરબંદરના લોકો ભાજપની સાથે હોવાની વાત કરી હતી. આ દરમિયાન તેમણે વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલી અર્પણ કરીને તેમણે કરેલા કામોને યાદ કર્યા હતા.
દેશમાં વિવિધ જગ્યાઓ પર પ્રચારની કામગીરી બાદ આજે હું પોરબંદર આવ્યો છું તેમ કહીને અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધીમાં 239 લોકસભા ક્ષેત્રોમાં જતા-જતા આજે હું પોરબંદર આવ્યો છું. બે તબક્કાનું મતદાન થઈ ગયું. આગળ તેમણે બે તબક્કાનું દેશમાં મતદાન થયું છે તેની વાત કહીને પરિણામ જાણવું છે? તેવો સવાલ કરીને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, બન્ને તબક્કામાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા.તેમણે આગળ જણાવ્યું કે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ.. જ્યાં જઈએ ત્યાં મોદી.. મોદી.. મોદી..ના નારા સાથે સ્વાગત થઈ રહ્યું છે. આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે ફરી એકવાર મોદી સરકાર.. નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આખો દેશ એક થયો છે. 2014 અને 2019માં નરેન્દ્ર મોદીના સમર્થનમાં ગુજરાતની મહાન જનતાએ 26માંથી 26 બેઠકો ભાજપની ઝોળીમાં નાખી હતી. આ વખતે તો એક ડગલું આગળ નીકળીને કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે. હવે બાકી રહેલી 25 બેઠકો જીતીને એટ્રીક કરીને નરેન્દ્ર ભાઈના નામે સંસદમાં મોકલવાની છે.કોંગ્રેસ વોટબેંકની રાજનીતી કરે છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ પોરબંદરની જેલ બંધ કરી હતી.પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, મારા કરતાં જંગી લીડથી જેતપુર વિધાનસભામાંથી મનસુખભાઈ માંડવીયાને મળશે. વર્ષોથી અમે અહીં ભાઈચારાથી કામ કરતા આવીએ છીએ. 50000થી વધુ લોકો બેસી શકે તે માટે સભા સ્થળે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સભા સ્થળ ખાતે અમિત શાહ ખુલ્લી કારમાં સવાર થઈ લોકોનું અભિવાદન જીલશે. નાના મોટા તમામ સમાજ મનસુખભાઈ માંડવીયાની સાથે છે.પોરબંદર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ઠેર ઠેર લોકો અબ કી બાર 400 પારના નારા લગાવી રહ્યા છે. પોરબંદર મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં માહોલ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા/હર્ષ શાહ