- બાળકોને શાળા સુધી જવા માટે સરકાર દ્વારા, અપાતી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો પ્રારંભ કરાવી બાળકો સાથે રિક્ષાની સવારી કરતા મંત્રી
- નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની આંગણવાડી-શાળાઓમાં ભુલકાઓને, પ્રવેશ કરાવતા મંત્રી ભાનુ બાબરિયા
- ઉંડવાસાંકળ અને કારેલી ગામની આંગણવાડી- પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને કંકુ તિલક કરી શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાવ્યો
રાજપીપલા/અમદાવાદ,27 જૂન (હિ.સ.) નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુ બાબરિયા ગરૂડેશ્વર તાલુકાની શાળાઓમાં પહોંચ્યા હતાં. મંત્રીએ ઉંડવાસાંકળ અને કારેલી ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી તેમજ માધ્યમિક શાળા કારેલીના આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 તથા ધોરણ-9 ના બાળકોનું નામાંકન અને કંકુ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મંત્રી ભાનુ બાબરિયાએ જાણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003 થી શાળા પ્રવેશોત્સવના શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ આ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, બાળકોની ક્ષમતામાં વધારો થાય, ઉચ્ચ શિક્ષણનો છે. દીકરીના સ્વપ્નને સાકાર કરવા માટે વાલીઓને ખાસ ધ્યાન રાખવા અને તેના યોગ્ય ઉંમરે લગ્ન થાય જેથી દીકરી તેના અરમાનો પુરા કરે તેના ઉપર મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો.
વધુમાં જણાવ્યું કે, આંગણવાડીથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી બાળકો માટે સરકાર સતત ચિંતા કરે છે. બાળકોને મફત શિક્ષણ સાથે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. ઉચ્ચ લાયકાત ધરાવતાં શિક્ષકો આ શિક્ષણ યજ્ઞમાં ખૂબ સારૂં શિક્ષણ કાર્ય કરે છે. બાળકોને હોસ્ટેલથી વિદેશ અભ્યાસની તક પણ સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર/